વાર્તા ૧૩૬.
ગધેડાનો નાચ.
એક પ્રસંગે બાદશાહ બપોરના સમયે મહેલના ઝરોખામાં બીરબલ સાથે વાર્તા વિનોદ ચલાવતો બેઠો હતો. એવામાં સ્હામે યમુના કિનારે ગધેડાને નાચતો જોયો, એટલે તેણે બીરબલને પૂછયું ” બીરબલ!:-
કિસ કારન યે નાચે ગધ્ધા?"'
બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે: –
આગે નાથ ન પીછે પગહા,
ઇસ કારન યે નાચે ગધ્ધા.
બાદશાહ એ ઉત્તર સાંભળી ઘણો જ આનંદ પામ્યો.
વાર્તા ૧૩૭.
“મલ” શબ્દનો અર્થ શો?
એક દિવસ એક સંસ્કૃત જાણનાર મુગલે રાજા ટોડરમલને લજ્જિત કરવા માટે દરબારમાં પૂછયું “ રાજા સાહેબ! મલ શબ્દનો શો અર્થ થાય છે ?”
ટોડરમલ તો કાંઈ બોલ્યો નહીં, પરન્તુ બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “ મિરઝા સાહેબ ! મલ અને બેગ એ બન્ને શબ્દોના અર્થ એકજ થાય છે.”
આ ઉત્તર સાંભળી પેલો મુગલ પોતેજ લજ્જિત થઈ ચુપ થઈ ગયો. (સંસ્કૃતમાં મલ અને બેગ એ બન્ને શબ્દોનો અર્થ વિષ્ટા થાય છે અને બેગ શબ્દ બધા મુગલોના નામ પાછળ લગાડવામાં આવે છે, જેમકે અફ ઝલ બેગ, નુસરત બેગ વગેરે.)