પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
અંધ, નાક, મણી, ખાટ, વાટ.


બીરબલે કહ્યું “ના, હું તો ક્યારનોયે આવ્યો હતો, પણ દરવાજો બંધ જોતાં અહીં ઓટલા ઉપર જ બેસી રહ્યો.” આ સાંભળી ગુણીકા બોલી “હેં ! નીચે શું કામ બેઠા ? મ્હને કેમ ન જગાડી ? ચાલો, વ્હાલા ! હવે આવો સંકોચ ન રાખતા ?!”

આમ કહી અને હાવભાવ દેખાડી તેને ઉપર લઇ ગઇ અને કુરસી ઉપર બેસાડી પોતે બીજા ઓરડામાં ગઈ. એવામાં પેલા ચારે બદમાશોએ આવી બીરબલને પકડી તેનાં બધાં ઘરેણાં ઉતારી લીધાં અને “ક્યાં ગઈ પેલી છીનાળ ?” એમ કહેતા પેલા બીજા ઓરડામાં પેઠા અને બારણું અંદરથી વાસી લીધું. બીરબલને લુંટાઈ ગયાની ક્યાં ચિંતા હતી ? એતો એમાં જ પોતાની કાર્યસાધના અવલોકતો ત્યાંજ બેસી રહ્યો. પેલા બદમાશોએ બધાં ઘરેણાં પેલી ગુણીકાને આપી દીધાં એટલે તેણે તે પેટીમાં બંધ કરી દીધાં અને પાછલે રસ્તેથી બ્હાર નીકળી ગઈ અને “ચોર,ચોર”ની બૂમો મારવા લાગી. આસપાસના મહોલ્લાવાળાઓ અને પોલીસનો સિપાહી વગેરે ત્યાં દોડી આવ્યા અને “ચોર ક્યાં છે ?” એમ પૂછવા લાગ્યા. પેલી રંડાએ કૃત્રિમ રૂદન કરતાં કહ્યું “હું સૂઈ રહી હતી એવામાં ચોર મકાનમાં પેઠો, પણ કાંઈ માલ ન મળવાથી, તેણે મ્હને જગાડી માર મારી માલ ક્યાં છે એ જાણવા માગ્યું. એટલે તેને એક પેટી તરફ ઈશારત કરી, લાગ જોઈ, જીવ બચાવવા ખાતર હું બ્હાર ન્હાસી આવી છું.”

આ સાંભળી અક્કલનો અધુરો સિપાહી પૂછવા લાગ્યો “શું ચોર ન્હાસી ગયો ?’ તે કઈ બાજુએ ન્હાસી ગયો ?”