પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
બીરબલ વિનોદ.


ગુણીકા રડવાનું ચાલુ જ રાખતાં બોલી “અરે, એ ચંડાળ હજુ તો ઘરમાં જ હશે.”

આ ઉપરથી સિપાહી અને પાડ પાડોશીયો તેના મકાનમાં પેઠા ને બીરબલને બેઠેલો જોઈ તેને પકડી કેદ કર્યો અને ચોકી ઉપર લઈ ગયા. સ્હવાર પડતાં જ કોતવાલે રાજા સાહેબ પાસે જઈ કહ્યું “અન્નદાતા ! રાત્રે એક ચોરને પકડવામાં આવ્યો છે એટલે તેને શી શિક્ષા કરીયે ?”

રાજાએ કાંઈ પણ તપાસ ન કરતાં તત્કાલ તેને ફાંસીએ લટકાવી દેવાનો હુકમ ફરમાવ્યો. કોટવાલ સાહેબ ચાવડી ઉપર આવ્યા અને બીરબલને ફાંસી આપવાને માટે સ્મશાન ભૂમિ તરફ લઈ ચાલ્યા. બીરબલે કોતવાલ સાહેબને કહ્યું “કોતવાલ સાહેબ ! હું કહું તે જગ્યાએ જો મ્હને લઈ જાઓ તો આપને પચાસ રૂપીયા અને આપના અન્ય સિપાહીયોને દરેકને વીસ વીસ રૂપીયા આપું.”

કોતવાલ સાહેબે ઘણી આનાકાની પછી તેમ કરવાનું કબુલ્યું, એટલે બીરબલે પેલા મદથી અંધ બનેલા અમીચંદ શેઠને ત્યાં પોતાને લઇ જવા કહ્યું. કોતવાલ સાહેબે શેઠના મકાન તરફ હંકાર્યું. ત્યાં પહોંચતાં બીરબલે પેલા શેઠને બ્હાર બોલાવી કહ્યું “શેઠ સાહેબ ! રાજા સાહેબે વિના વાંકે મ્હને ફાંસીએ લટકાવવાનો હુકમ આપ્યો છે. એની તો મને લગારે ચિંતા નથી, પણ તમારું દેવું રહી ગયું એ ખરેખરા સંતાપનું કારણ છે. તમે બે હઝાર રૂપીયા રાજાને આપી મ્હને છોડાવશો તો તમારા બધા નાણાં મળી જશે, નહિં તો પાણીમાં જવાના. માટે એટલી જો મહેરબાની કરો તો આપણ ઉભયને લાભ થાય.”