કપુરે હાથ જોડી કહ્યું “નામદાર ! અમે તો આપની આજ્ઞાનું પાલન બરાબર રીતે કર્યું અને દેશેદેશ ફર્યા. પરંતુ જ્યાં ગયા ત્યાં આપનું જ રાજ્ય જણાયું, એટલે ક્યાં જઈ રહેવું એનો વિચાર કરતા કરતા પાછા દિલ્હીમાં આવ્યા, પણ બીજે ક્યાંય રહેવાનું સ્થળ ન જણાયું એટલે છેવટે આ વૃક્ષને રસ્તે આકાશ તરફ જવાનું ઉચિત્ ગણી પહેલી મુસાફરી આરંભી છે.”
આ ઉત્તર સાંભળીને બાદશાહ હસ્યો અને તેમને નીચે ઉતરવાની આજ્ઞા કરી. બાદશાહના હુકમ પ્રમાણે તેઓ તરતજ નીચે ઉતરી પોતાના અપરાધની ક્ષમા યાચવા લાગ્યા. બાદશાહે પણ તેમની હાઝર જવાબીથી ખુશ થઈ તેમને માફી આપી.
એક દિવસ બાદશાહ સૌ કરતાં વ્હેલો આવી દરબારમાં બેઠો. તેણે પોતાના મનમાં પાંચ પ્રશ્નો ગોઠવી રાખ્યા હતા, તેનો ખુલાસો દરબારીયો પાસેથી મેળવવાનો સંકલ્પ કર્યો. થોડી વારમાં દરબારીયો એક પછી એક આવવા લાગ્યા. પહેલાં જ અનવરખાન નામનો સરદાર આવી પહોંચ્યો એટલે બાદશાહે તેને પૂછ્યું “ અનવરખાન ! મ્હારા પાંચ સવાલોનો જવાબ આપશો ?”
અનવરખાને કહ્યું “હુઝૂર ! મ્હારાથી બની શકશે તો આપીશ.”
બાદશાહે પ્રશ્નો રજુ કરતાં કહ્યું “ફુલ, દાંત, પુત્ર,