પૃષ્ઠ:Birbal Vinod.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
અક્કલથી ઈશ્વરને ઓળખવો.


ગણ્યું. દૈવ સંયોગે તે પ્રસંગે બીરબલ નામનો એક ગરીબ બ્રાહ્મણ છોકરો ત્યાં ઉભો હતો. તે છોકરાએ ચિત્રકારને ઉદાસ અને વ્યાકુળ જોઈ પૂછ્યું “કેમ ભાઈ ! તમે ઉદાસ કેમ દેખાવ છો ? તમને કાંઈ ચિંતા લાગી હોય એમ જણાય છે? !”

ચિત્રકારે તેને બધી હકીકત કહી સંભળાવી એટલે બીરબલે કહ્યું “તમે કોઈ પણ રીતે ચિન્તા કરશો નહીં, હું તેની ઇચ્છા મુજબનું ચિત્ર તેને બનાવી આપીશ. તમે એકવાર તે શાહુકાર જોડે મારી મુલાકાત કરાવો.” ચિત્રકાર પ્રસન્ન થતો તેને સાથે લઈ પેલા શાહુકાર પાસે ગયો. જતી વખતે બીરબલે રસ્તામાંથી એક દર્પણ ખરીદ કર્યું હતું. શાહુકાર જોડે મુલાકાત થતાં જ શાહુકારે પૂછ્યું “કેમ, નવીન ચિત્ર તૈયાર થયું કે?” બીરબલ બોલી ઉઠ્યો “જી હા, તૈયાર થઈ ગયું છે.” એમ કહી તેણે પેલા શાહુકારના મ્હોં આગળ દર્પણ ધર્યું જેમાં તેનું આબેહુબ ચિત્ર દેખાતું હતું. શાહુકારે આ ચાલાકીથી લાચાર બની ચિત્રકારને ઠેરવેલી રકમ આપી વિદાય કર્યો, તેના ગયા બાદ બીરબલે તરત જ શાહુકારના પગ પકડી લીધા અને કહ્યું “મહારાજ ! આપ અવશ્ય કોઈ દેવતા છો, હવે હું તમને નહીં મૂકું” આ સાંભળી દેવતાએ તેને દર્શને આપ્યાં અને તેની વિશેષ બુદ્ધિ વધવાનો આશિર્વાદ આપ્યો. એના જ પ્રસાદે બીરબલની એટલી બધી ખ્યાતિ થઈ.

ચિત્રમાં વારંવાર દોષ કાઢવા ઉપરથી પેલા દેવતાને બીરબલે અક્કલથી ઓળખ્યો હતો. એ દિવસથીજ ‘અક્કલથી ઈશ્વરને ઓળખવો’ એ કહેવત પ્રસિદ્ધ થઈ છે.