મળશે એ મશ્કરી કરવાથી જ મળશે. ” એમ કહેવાય છે કે એજ દિવસથી બીરબલ મશ્કરી કરવામાં, લોકોને હસાવવામાં તેમજ હાઝરજવાબી વગેરેમાં અત્યંત કાબેલીયતવાળો થયો.
દંતકથા-(૨) મારવાડના લોકો બીરબલને મકરાનાના બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. એમ કહેવાય છે કે ત્યાં સંગે મરમરની જે ખાણ છે તેને પતો સૌથી પહેલાં બીરબલેજ સાંભરના હાકેમને આપ્યો. એટલે ત્યાંથી પત્થરો લઈ બાદશાહનો મહેલ બાંધવામાં આવ્યો, તેમજ બીરબલને પણ બાદશાહ સુધી પહોંચવાનું મળ્યું,
દંતકથા--(૩) જયપુર રાજ્ય નિવાસીયો એમ બતાવે છે કે બીરબલનો જન્મ અજમેરની પાસે, એક પર્વતની તળેટીમાં અગાઉ એક ન્હાનકડું ગામ આબાદ હતું ત્યાં થયો હતો. એના માતાપિતા ઘણીજ દીન અવસ્થા ભોગવતાં હતાં. મકાન પર્વતની તળેટીમાંજ હોવાથી બીરબલ દરરોજ પહાડ ઉપર જઈ લાકડાં કાપી લાવતો. એક દિવસ લાકડાં બાંધવાનું દોરડું ઘરમાં જ રહી ગયું અને બીરબલે પહાડ ઉપર લાકડાં એકઠાં કર્યા પણ દોરડું પોતે ઘરમાં ભૂલી ગયાનું ભાન થતાં ઉપરથીજ માતાને દોરડું મોકલવાને સાદ કર્યો. માએ કહ્યું “દોરડું તો ઘરમાં છે પણ મોકલું કોની સાથે ?” ત્યારે બીરબલે કહ્યું કુતરાના ગળામાં બાંધી દો.” માતાએ તે પ્રમાણે કર્યું એટલે બીરબલે કુતરાને ઉપર બોલાવી દોરડું લઈ લાકડા બાંધ્યા. સંયોગવશાત એજ પહાડની પાસે અકબરબાદશાહે પડાવ નાખ્યો હતો, તેણે આ છોકરાની અજબ ચાલાકી જોઇ પોતા પાસે બોલાવી મંગાવ્યો. બીરબલ માથે લાકડાને ભારો લઈ બાદશાહના સિપાહીઓ સાથે બાદશાહના તંબુ તરફ આવવા લાગ્યો, રસ્તામાં એક નાળું આવતું હતું, તે સાથે લાકડાનો ભાર હોવા છતાં બીરબલ છલંગ મારી ઓળંગી ગયો. આ બધો બનાવ બાદશાહે પોતાની નઝરે જોયો.