રાક્ષસ જેવો લાગતો હતો, રસ્તામાં જો કોઈ એકાદ છુટો છવાયો મનુષ્ય મળે તો બીચારો દૂરથી જ ભયભીત થઈ પડખે ખસી જતો. એવી રીતે ગંગ રાજમહેલના બાગ સૂધી પહોંચી ગયો. દરવાજા ઉપર સખત પહેરો ચોકી એટલે ત્યાંથી તો અંદર જવાયજ શેનું? એટલે તે આડે રસ્તેથી બાગમાં દાખલ થઈ ગયો. પરોઢીયાનો સમય પાસે આવી લાગ્યો હતો, તે ભરાતો સંતાતો મહેલના જે ભાગમાંથી પ્રકાશ આવતો હતો ત્યાં પહોંચ્યો. બાદશાહ એ પ્રસંગે દાતણ કરતો હતો અને આસપાસ અપ્સરાઓ સમાન બેગમો ફરી વળી હતી અને અનેક પ્રકારના હાવભાવથી બાદશાહને લલચાવતી હતી. કવિ ગંગ એ દૃશ્ય જોઈ મનમાં કહેવા લાગ્યો “હાય, આવા સ્વર્ગ જેવા સુખનો ત્યાગ કરી સંસારિક માથાફોડમાં કોનું મન લાગે? બાદશાહને એવા પરમસુખમાંથી કાઢવો એ મહાપાપ કહેવાય ! ! પણ ના, મારે તો મારી ફરઝ બજાવવાની જ રહી, એમાં જો હું પાછી પાની કરૂં તો રાજ્ય અને ધર્મ બન્નેનો દ્રોહી ઠરું. માટે જે બનવાનું હશે તે બનશે, મારે તો એને આ સ્વર્ગસદનમાંથી રાજ્યાસન ઉપર લઈ જવોજ જોઈયે.”
એવો વિચાર કરી તેણે બરાબર ઝરોખાની નીચે આવી મોટે સાદે બુમ મારી “હે બાદશાહ ! તું તો નરોનો નર દેખાય છે, છતાં કોઈ તને ઘોડો કહે છે અને કોઈ ગધેડો, તેનો તેં કાંઈ વિચાર કર્યો ?!”
આટલા શબ્દો બોલી તે એટલી બધી ઝડપે નાઠો કે પકડવો મુશ્કેલ થઈ પડે, પણ બાદશાહે તરત જ બૂમ