પૃષ્ઠ:Birbal Vinod.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
બીરબલ વિનોદ.

સાથે લઈ જવા લાગ્યો ત્યારે પુત્રીએ કહ્યું “પિતાશ્રી ! શું તમે મને વિધવા બનાવવા ચાહો છો? બાદશાહને તમે જ્યારે કહેશો કે જમાઈ કુતઘ્ન હોય છે ત્યારે તે તરતજ તેને ફાંસીએ લટકાવવાનો હુકમ આપશે. પરંતુ, ફીકર નહીં. જો બાદશાહ તેમ કરે એટલે તરતજ તમે કહેજો કે “જહાંપનાહ ! હું અને તમે પણ કોઈના જમાઈ તો ખરા ને ?!” એટલે બાદશાહ શાંત પડી જશે.”

એટલું કહી તેણે બીરબલને દરબારમાં જવા દીધો. દરબારમાં પહોંચતાંજ બાદશાહે પૂછયું “કેમ બીરબલ પેલા પ્રાણીઓ લઇ આવ્યા?” બીરબલે તરતજ જમાઈને અને કુતરાને આગળ કરી જણાવ્યું “જહાંપનાહ ! જમાઈ જેવો કોઈ કૃતઘ્ની નહીં કેમકે સાસુ સસરો ગમે તેવા વ્હાલ ભર્યા વર્તનથી તેને વધાવે–પોતાનું મન કાઢી આપે-પણ તે કદિએ ઉપકાર નહીં માને. અને કુતરા જે કોઈ કૃતજ્ઞી નહી, કેમકે ગમે તેવું દુખ આવી પડે, છતાં એ પોતાના માલિકનો સંગાથ છોડતો નથી.”

અકબરે કહ્યું "બરાબર છે.” તે બાદ સિપાહીયોને હુકમ કર્યો “ આ બીરબલના જમાઈને ફાંસીએ લટકાવો. એવા કૃતઘ્નીનું અમારે ત્યાં કાંઈ કામ નથી.” ત્યારે બીરબલે હાથ જોડી કહ્યું “જહાંપનાહ ! પહેલાં આપણે પણ સૂળીયે ચઢીયે, કેમકે હું અને આપ પણ કોઈના જમાઈ તો ખરાજને ?!”

બાદશાહ આ જવાબ સાંભળી ઘણાોજ ખુશ થયો અને બીરબલને ભારે ઇનામ આપ્યું.