પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
પ્રેમાનંદ

હરિ હું ભરતારે છાંડી, હવે હું દુઃખ કહું કોને માંડી;
હરિ મેં કોણ પાતક કીધાં, હરિ મેં સાધુને મેણાં દીધાં.
હરિ મેં રાખ્યું હોય સત્ય, જો વહાલા હોય નળપત્ય;
મારા કોટિક છે અવગુણ, પણ તમો છો રે નિપુણ.
અપરાધ સર્વ વિસારી, ચઢો વિઠ્ઠલા વહારે મારી;
જો નહિ આવો જગદીશ, તો પ્રાણ મારો હું તજીશ.
એવું કહિને આંખે ભર્યું જળ, અમો અબળાતણું શું બળ;
એવું મનમાં ધરીયું ધ્યાન, સતીની વારે ચઢ્યા ભગવાન.
અંતરજામીએ બુધ દીધી, સતીએ આંખ રાતડી કીધી;
કહે માસીને કરી ક્રોધ, ફરી કરો હારની શોધ.
સાખી સૂરજ વિષ્ણુ ને વાય, જો મેં કીધો હોય અન્યાય;
બાઇ હાર તમારો જડજો, લેનારો ફાટી પડજો.
એવું કહેતાંમાં કળીજુગ નાઠો, ત્યારે તડાક ટોડલો ફાટ્યો;
માહે થકો પડ્યો નિસરી હાર, સતીને ત્રુઠ્યા વિશ્વાધાર.
અંત્રિક્ષથી અકસ્માત, વરસ્યો હારતણો વરસાદ;
એક એકપેં અદકાં મોતી,રાજમાતા ટગ ટગ જોતી.
પછે દમયંતીને પાગે, રાજમાતા ફરી ફરી લાગે;
બાઇ તું છે મોટી સાધ, મારો ક્ષમા કરો અપરાધ.
ઇંદુમતી થઇ ઓશીયાળી, મુખડું ન દેખાડે વાળી.

વલણ.

વાળી મુખ દેખાડે નહી, સત સતીનું રહ્યું રે;
બૃહદશ્વ જહે યુધિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુંરે.

કડવું ૪૬ – રાગ દેશાખ.

બૃહદશ્વજી કહે કથારે, સુણો ધર્મ ભૂપાળ;
સુદેવ સાંચર્યોરે, લેઇને તે બંને બાળ.
માધવી કેશવીરે, સખી દમયંતીની જેહ;
શોભે સાહેલડીરે, જેમ પ્રાણ વહોણી દેહ.
કુંદનપુર આવિયારે, ઋષિ સખી ને સૂત;
દેખીને દોહેલારે, ભીમકે જાણ્યું થયું અકૃત.