પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

અન્યના અભિપ્રાયો બદલાશે એ વિચારથી જે માર્ગ એને ભૂલ ભરેલો લાગે તેને તે કેમ વળગી રહી શકે ?

બોધ પ્રાપ્તિ

૯. આ પ્રમાણે સિદ્ધાર્થને રાજ્ય છોડ્યાને છ વર્ષ વીતી ગયાં. વિષયોની ઈચ્છા, કામાદિક વિકારો, ખાવાપીવાની તૃષ્ણા, આળસ, કુશંકા, ગર્વ, માનેચ્છા, કીર્તિની ઇચ્છા, આત્મસ્તુતિ, પરનિન્દા વગેરે અનેક પ્રકારની ચિત્તની આસુરી વૃત્તિઓ સાથે એમને એ વર્ષો દરમીયાન ઝગડવું પડ્યું. આવા વિકારો એ જ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે એવી એમને પૂર્ણપણે ખાત્રી થઈ. છેવટે એ સર્વ અસુર સૈન્યને જીતી એમણે ચિત્તની અત્યન્ત શુદ્ધિ કરી. જ્યારે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થઇ ગઇ ત્યારે એમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થયો. જન્મ અને મરણ શું, સુખ અને દુ:ખ શું, દુ:ખનો નાશ કેમ થાય એ સર્વે વાતોનો ખુલાસો થઇ ગયો; શંકાઓની નિવૃત્તિ થઇ ગઇ; જીવનનું રહસ્ય સમજાઇ ગયું; શોધતા હતા તે મળી ગયું; મનની ભ્રમણાઓ ભાંગી; ચિત્તના ઝગડા મટી ગયા; અશાન્તિ હતી ત્યાં શાન્તિનું સામ્રાજ્ય બેઠું. સિદ્ધાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ધ થયા. વૈશાખ સુદ

૧૬