પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


સમાજસ્થિતિ

૩.બુદ્ધના સમયની સામાજિક સ્થિતિ*[૧] નીચે પ્રમાણેની હોય એમ લાગે છે : એક વર્ગ ઐહિક સુખમાં રચ્યોપચ્યો રહેતો. મદ્યપાન અને વિલાસમાં જ એ વર્ગ જીવનની સાર્થકતા માનતો. બીજો એક વર્ગ ઐહિક સુખની કાંઈક અવગણના કરતો, પણ સ્વર્ગમાં એવાં જ સુખો પ્રાપ્ત કરવાની લાલસાથી મુંગાં પ્રાણીઓનાં બલિદાન દેવોને પહોંચાડવાના કામમાં રોકાયેલો હતો. ત્રીજો એક વર્ગ એથી ઉલટે જ માર્ગે જઈ શરીરનો નાશ થાય ત્યાં સુધી તેનું દમન કરવામાં રોકાઇ ગયો હતો.


મધ્યમમાર્ગ

૪.આ ત્રણે માર્ગમાં અજ્ઞાન રહ્યું છે એમ બુદ્ધે શીખવ્યું. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા તથા દેહદમનથી પોતાનો નાશ કરવાની તૃષ્ણા એ બન્ને છેડા પરની ઈચ્છાઓનો ત્યાગ કરીને મધ્યમ માર્ગનો એમણે ઉપદેશ આપ્યો. એ મધ્યમ માર્ગથી દુ:ખનો નાશ થાય છે.


આર્યસત્યો

૫.' મધ્યમ માર્ગ એટલે ચાર આર્યસત્યોનું જ્ઞાન. આ ચાર આર્યસત્યો તે આ પ્રમાણે:



  1. *'સમાજસ્થિતિ'પર પાછળ નોંધ જુઓ.


૨૦