પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

છોકરાંઓનું પોષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ, આસક્તિયુક્ત અંતઃકરણથી તમારૂં મરણ ન થાઓ એમ હું ઇચ્છું છું. હે ગૃહપતિ, તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે 'નકુલમાતા મારા મરણ પછી પુનર્વિવાહ કરશે.' પરંતુ આ શંકા તમે છોડી દો. હું આજ સોળ વર્ષથી ઉપોસથવ્રત પાળું છું, તે તમને ખબર છે જ. તો પછી હું તમારા મૃત્યુ પછી પુનર્વિવાહ કેમ કરીશ ? હે ગૃહપતિ, તમારા મરણ પછી હું બુદ્ધ ભગવાનનો અને ભિક્ષુસંઘનો ધર્મોપદેશ શ્રવણ કરવા નહિ જાઉં એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ તમારી પાછળ, પહેલાં પ્રમાણે જ બુદ્ધોપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે એવી તમારે પક્કી ખાત્રી રાખવી. માટે કોઈ પણ પ્રકારની ઉપાધિ સિવાય મરણને શરણ થાઓ. હે ગૃહપતિ, તમારી પાછળ હું બુદ્ધ 'ભગવાને ઉપદેશેલું શીલ યથાર્થ રીતે નહિ પાળું એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ જે ઉત્તમ શીલવતી બુદ્ધોપાસિકાઓ છે તેમાંની જ હું એક છું એમ તમે ખાત્રીથી સમજજો. માટે કોઈ પણ પ્રકારની કાળજી વગર મરણ આવવા દ્યો. હે ગૃહપતિ, મને સમાધિલાભ
૪૭