પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેટલાક પ્રસંગો અને અન્ત

.

મરીશ કે તારો બાપ પહેલો મરશે એ નક્કી નથી. તને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં."

૧૮. અજાતશત્રુને ગુરુની યુક્તિ પસંદ પડી. એણે ઘરડા બાપને કેદખાનામાં નાંખી ભૂખ્યો માર્યો અને પોતે સિંહાસન પર ચઢી બેઠો. હવે દેવદત્તનો રાજ્યમાં વગ વધી જાય એમાં શી નવાઇ?

લોકો જેટલો રાજાનો ભય રાખતા તેથી પણ વધારે દેવદત્તથી ડરતા. બુદ્ધનું ખૂન કરવા એણે રાજાને પ્રેર્યો. પણ જે જે મારાઓ ગયા તે બુદ્ધને મારી જ શક્યા નહિ. બુદ્ધની નિરતિશય અહિંસા અને પ્રેમવૃત્તિ, એમના વૈરાગ્યપૂર્ણ અન્તઃકરણમાંથી નીકળતો સચોટ ઉપદેશ એમના શત્રુઓનાં ચિત્તને પણ શુદ્ધ કરી દેતાં. જે જે મારાઓ ગયા તે બુદ્ધના શિષ્ય થઇ ગયા.

શિલાપ્રહાર

૧૯. દેવદત્તને આથી બહુ ચીડ ચડી. એકવાર ગુરુ પર્વતની છાયામાં ફરતા હત ત્યારે પર્વતની ધાર પરથી દેવદત્તે એક મોટી શિલા એમના ઉપર ધકેલી દીધી.

૫૫