મહાવીર
માતૃભક્તિ
૨. મહાવીરનું જન્મનામ વર્ધમાન હતું. એ નાનપણથી જ અત્યંત માતૃભક્ત હતા. એમની દયાવૃત્તિ એટલી સૂક્ષ્મ હતી કે પોતાને લીધે માતાને ગર્ભવાસમાં અત્યંત વેદના થઇ હશે એ વિચારથી એમને બહુ દુઃખ થતું, અને ફરીથી એવું દુઃખ કોઇ માતાને ન થાઓ એવા ઉદ્દેશથી આ જન્મને છેવટનો કરવો એવો વિચાર જાણે એમણે કર્યો હોય એમ લાગતું હતું.
૩. વર્ધમાન બાલ્યાવસ્થામાં ક્ષત્રિયને છાજે એવી રમતોના બહુ શોખીન હતા. એમનું શરીર ઉંચું અને બળવાન હતું. અને એમનો સ્વભાવ પરાક્રમપ્રિય હતો. નાનપણથી જ બીકને તો એમણે કદી પોતાના હૃદયમાં સંઘરી જ ન હતી. એક વાર આઠ વર્ષની ઉમરે એ કેટલાક છોકરાઓ સાથે રમતાં રમતાં જંગલમાં જઇ ચડ્યા. ત્યાં એક ઝાડ નીચે એક ભયંકર સર્પ પડેલો હતો. બીજા છોકરાઓ એને જોઇને નાસભાગ કરવા લાગ્યા, પણ આઠ વર્ષના વર્ધમાને એક માળાની માફક એને ઉંચો કરી દૂર ફેંકી દીધો.
પાછળ "માતૃભક્તિ" વિષે નોંધ જુઓ.