પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


ત્રણ દિવસ ગામમાં અતંત્રતાનું સામ્રાજ્ય ફેલાયું.

‘ખબરદાર’, ‘હોશિયાર’, ‘અલ્લા હો અકબર’, ‘હર હર મહાદેવ'ના પુકારો દિવસે અને રાત્રે સંભળાયા કરતા હતા, અને વીસમી સદીના એક હિંદી શહેરમાં સુધારાની ટોચે ચઢેલી બ્રિટિશ સલ્તનતના ન્યાય, શાંતિ અને સુશાસનભર્યાં મનાતા રાજઅમલમાં અશાંતિની - શાસનભંગની - ભૂતાવળ રમી રહી હતી.

કારણ ?

ગુલામીની જંજીર હાથે પગે પહેરી બેઠેલી હિંદુમુસ્લિમ જનતાને એક મહાસત્ય મળી આવ્યું છે કે -

હિંદુ-મુસલમાનો પરસ્પર દુશ્મન છે અને એ દુશ્મનાવટ જાગ્રત રાખવાથી જ તેમને - તેમના દેશને સ્વાતંત્ર્ય મળવાનું છે !

જગત હિંદને ગણકારતું નથી. ગુલામોને ગણે પણ કોણ ? પરદેશી રાજસત્તા શિખામણો આપે છે, ધર્મભેદના ચિરાડા રાષ્ટ્રમાં પાડતા જઈ એક બનવાનો આગ્રહ કરે છે, બંને હાથે બંને પક્ષની પીઠ ઠોકે છે, અને જરૂર પડ્યે ધબ્બો મારે છે; અને જગતના મૂર્ખશિરોમણિ હિંદી હિંદુ અને હિંદી મુસ્લિમો માટે અંદર અંદર આંખ મિચકારી કોઈ ન દેખે એવું સ્મિત કરે છે.

અને સ્મિત શા માટે ન કરે ? હિંદ સરખી મહામૂર્ખ પ્રજા ઉપર રાજ્ય કરવું કોને ન ગમે ? હાથી કબૂલ કરે તો તેના ઉપર અંકુશ-અંબાડી કોણ ન ચઢાવે ?

ધર્મની સાથે જેને તલપૂર પણ લાગતુંવળગતું નથી એવા આગેવાનો હિંદભર ઘૂમી ભાષણો આપે છે. કેવાં ?

મુસ્લિમ આગેવાન કહે છે : સલ્તનત મુસ્લિમની હતી ! તલવારબહાદુર મુસ્લિમ હિંદુને આગળ થવા દે ? એના કરતાં હિંદને વીખીપીંખી એના ભાગલા પાડી અલગ થઈ જવું એ વધારે સારું ! અલગ થતા બરોબર હિંદ બહારનું મુસ્લિમ જગત અમને છાતી સાથે ચાંપશે !

જાણે મુસ્લિમ ધર્મની સ્થાપના પછી મુસ્લિમ દુનિયા સદાય એક બની રહી હોય !