પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


બંને ટોળાં થોડી ક્ષણ ગૂંચવાઈને ઊભાં રહ્યાં.

ગૌતમને લાગ્યું કે હિંદુમુસ્લિમ ઝગડાઓને ટાળવા માટે થોડી મેનાઓ અને થોડી નૂર બસ થઈ જાય. ભાન ભૂલેલાં ઝનૂની ટોળાં સામે એક એક મુસ્લિમ અને એક એક હિંદુ ગળે વળગીને ઊભા રહે તો હિંદુમુસ્લિમ કોને મારે ? અને પછી મારે તોય. શું ? ભેગો મરેલો એક હિંદુ અને એક મુસ્લિમ, હુલ્લડ વિરુદ્ધની એક દસકા પૂરતી તો જામીનગીરી આપે જ આપે.

પરંતુ હિંદુમુસ્લિમ આગેવાનોમાં આવી સચ્ચાઈ છે ખરી ? કે હિંદુમુસ્લિમ ઐક્યની વાત કરી અંદરખાનેથી પરધર્મી વધારે કુટાય એવી વૃત્તિ જ આપણા હિંદુમુસ્લિમ આગેવાનો ધરાવે છે ? મરે બીજા; ઘાયલ થાય બીજા; અને કેદ-ફાંસીએ જાય બીજા ! સહુને ચઢાવી ઉશ્કેરી જોખમમાં નાખી સલામત રહેનારા આગેવાનોને હિંદુમુસ્લિમો ક્યારે ઓળખશે ?

બંને ટોળાં ઝંખવાયાં. એક ટોળું મુસલમાનોને મારવા આવ્યું હતું; બીજું ટોળું હિંદુઓને.

પરંતુ અહીં તો એક મુસ્લિમ કન્યા એક હિંદુ સ્ત્રીને ગળે વળગી પડી હતી !

બીજા કોઈ સ્થળે આમ ને આમ કોઈ હિંદુ કન્યા મુસ્લિમ સ્ત્રીને ગળે વળગી પડી જ હશે !

હિંદમાં તો હિંદુમુસ્લિમ કોમ આમ પરસ્પરને ગળે વળગીને જ રહેતી હતી !

‘ઉઠાવો બુઢ્ઢીને !’ કોઈએ લલકાર કર્યો. ઝનૂને ચઢેલા ટોળાને માનવતા આડકતી નથી.

‘એને હાથ પણ અરાડશે તેનું આવી બન્યું માનજો.’ ગૌતમે કહ્યું અને ઘરમાંથી બહાર નીકળતી વખતે એણે સાથે રાખેલો મોટો ચપ્પુ બહાર કાઢ્યો.

હિંદુ ટોળાને લાગ્યું કે તેમના પક્ષમાં કોઈ શૂરવીર પુરુષ જાગ્યો છે. કોઈના જાગ્યા સિવાય હિંદુઓ જાગતા જ નથી. એ ટોળામાંથી કોઈ બોલ્યું:

'પેલી છોકરીને ખેંચી કાઢો ! પછી બીજી વાત.'