પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦: છાયાનટ
 

કે પોલીસ આવે ત્યાં સુધી ઘા કરવાનું મુલતવી રાખો ! એમ ?’ ગૌતમે કહ્યું.

‘પાછો સામો થાય છે ? જીભાજોડી કરે છે ?' પોલીસના એક અમલદારે ગૌતમને જોરથી ધોલ લગાવી દીધી.

ગૌતન ભાન ભૂલ્યો - સ્વમાનની ચિનગારી પણ જેના હૃદયમાં જીવતી હોય તે જરૂર આવે પ્રસંગે ભાન ભૂલે. હુલ્લડ પ્રસંગે હુલ્લડખોરોની સાથે પોલીસ પણ વીફરે છે. ગુનો કરનાર અને ન કરનાર સહુને એક સરખી સખ્તીથી તેઓ દબાવી દે છે. વાતો ચાલ્યાં કરતી હતી કે હિંદુ સિપાઈઓ મુસલમાનોને ત્રાસ આપતા હતા, મુસ્લિમ સિપાઈઓ હિંદુઓને ત્રાસ આપતા હતા. હુલ્લડ દબાવામાં હુલ્લડખોર કે બિનહુલ્લડખોર સહુને ઠીક ઠીક ધોલઝાપટ કરી સિપાઈઓ જેનાં તેનાં ખિસ્સાં પણ હળવાં કરી નાખતા. ગૌતમને ધોલનો તો અનુભવ થયો. બીજો અનુભવ થાય તે પહેલાં એણે પોલીસને સામી બે ધોલ લગાવી દીધી અને ચપ્પુનો ઉપયોગ કરે તે પહેલાં પાછા ફરેલા ગોરા સાર્જન્ટે આવી તેનો હાથ પકડી લીધો. એના હાથમાં અતુલ બળ હતું. ગૌતમ કરતાં તે ઘણો મોટો ન હતો, છતાં ગૌતમને લાગ્યું કે એ ગોરાના શારીરિક બળ સામે તેનાથી થઈ શકાય એમ ન હતું.

એક સામાન્ય અંગ્રેજ અને એક સામાન્ય હિંદી વચ્ચે શારીરિક બળમાં પણ આટલો બધો ફેર ?

એથી પણ વધારે મોટા અધિકારી સ્થળ ઉપર આવી પહોંચ્યા. ભગવાનદાસના ઓટલા ઉપર નિશા અને મિત્રા બંને ઊભાં હતાં. ગૌતમને મુશ્કેલીમાંથી કેમ ઉગારવો તેનો સહજ વિચાર એ બંને કરતાં હતાં. એટલામાં કારમાંથી ઊતરેલા એક અમલદારે પૂછ્યું :

‘ક્યાં છે શેઠ સાહેબ ?’

‘ઘરમાં છે.’ મિત્રાએ જવાબ આપ્યો.

‘મારે મળવું છે.’

‘હું ખબર આપું.’ કહી મિત્રા અંદર ગઈ. તોફાનથી બેજાર બની ગયેલા ભગવાનદાસ શું કરવું તેની સમજ ન પડવાથી ઓરડામાં આંટા માર્યા કરતા હતા. પોલીસ અમલદાર આવ્યાની ખબર પડતાં તેઓ બહાર આવ્યા, અને અમલદારો ઓળખીતા હોવાથી તેમણે અંદર આવવા આમંત્રણ પણ આપ્યું. પોલીસ અમલદારોનું ઓળખાણ છે એવી વાત આસપાસ ફેલાય તોપણ સલામતીમાં વધારો થાય એવી ગણતરી આ આમંત્રણમાં ન હતી એમ મનાય નહિ.

‘મિત્રા, સાહેબોને માટે ચા બનાવી લાવો.' ભગવાનદાસે આજ્ઞા