પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬ઃછાયાનટ
 


‘એટલે ?'

'એ ભાડું લેઈ ન્યાય અપાવનાર વિદ્વાન મિત્રો કેવી રીતે સાચો ન્યાય અપાવશે ?'

‘નામદાર સાહેબ, આ તોફાની બાંધવો કદાચ ગાંડો હોવાનો દેખાવ કરશે અને ઘેલછાને આશ્રયે છૂટવા મથશે.' કામ ચલાવનાર સરકારી વકીલે કહ્યું.

'ના જી. હું બિલકુલ શુદ્ધિમાં છું, અને મારા એકેએક ઉત્તરની જવાબદારી હું માથે લઉં છું.' ગૌતમે કહ્યું.

‘થોડા ચક્રમ તો લાગો જ છો.' ન્યાયાધીશે જરા પણ હસ્યા વગર ગમ્મત કરી. સઘળા વકીલો હસ્યા. હસવું ન આવે તોપણ મોટા માણસે કરેલી ગમ્મત ઉપર હસવાની માનવજાતને માથે ફરજ છે.

‘આપણે બંને એક જ હોડીના મુસાફરો છીએ, નામદાર !’ ગૌતમે કહ્યું.

નામદાર એકદમ ગંભીર બની ગયા. હસતા વકીલોએ પોતાનાં મુખ ઠેકાણે આણી દીધાં. કામ ચલાવતા વકીલે શહેરના હુલ્લડખોરને શોભે એવી ઢબે ગૌતમને ધમકી આપી. ન્યાયની કચેરીઓમાં પણ વકીલો શેરીના સંસ્કાર ઠીક ઠીક લાવી શકે છે.

‘તમે પૂછીએ તેનો જવાબ આપો. તમને ભાન નથી, અને નામદાર સાહેબ દયાળુ છે, નહિ તો તમારા શબ્દો ન્યાયાસનના તિરસ્કારરૂપ છે. Contempt of Court શું તે જાણો છો ને ?’ વકીલે કહ્યું.

'Contempt of Court? I have nothing but contempt for your Courts.' ગૌતમે છેડાઈને જવાબ આપ્યો.

અને ચારે બાજુએ ધાંધળ મચી રહ્યું. ન્યાયાસનના તિરસ્કારનો નવો ગુનો તેની સામે ઉમેરાયો. ગૌતમે પોતાને ગુનેગાર તરીકે કબૂલ ન રાખ્યો; છતાં તેણે જે જવાબો આપ્યા તે ગુનાની કબૂલાત સરખા જ હતા.

જે લત્તામાં તે સંતાયો હતો તે જ લત્તામાં બે મુસ્લિમોનાં ખૂન થયાં - જે એણે જોયાં છતાં ખૂનીને રોકવા કે ઓળખવા તેણે કશો પ્રયત્ન કર્યો નહિ. કોણે જાણ્યું કે એ ખૂનમાં એનો હાથ નહિ હોય ?

વકીલોને પણ કવિઓ સરખી કલ્પના કરવાની છૂટ હોય છે, અને તેનો ઉપયોગ એ કલામય રીતે કરી શકે છે. વકીલોના આરોપ અને


૧. ન્યાયાસનનો તિરસ્કાર ? તમારા ન્યાયાસનો માટે તિરસ્કાર સિવાય બીજે કશો જ ભાવ મારા મનમાં આવતો નથી.