પૃષ્ઠ:Chhayanat.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શઃ૧૫૩
 

વળગાડો. નહિ તો...’

ન્યાત, જાત, કોમ, ધર્મ સહુને વચમાં ન લાવતાં રાષ્ટ્રીય ભાવના ખીલવી દેશને સ્વાતંત્ર્યનો મંત્ર આપી રહેલી મહાસભા મુસ્લિમોને પંપાળે છે એમ હિંદુ મહાસભાએ શોધી કાઢ્યું.

રાષ્ટ્રીય મહાસભામાં વ્યવહારકુશળતા નથી એવી વિનીતપક્ષે શોધ કરી. સમાજવાદીઓએ જોયું કે મહાસભા તો અર્થવાદની સામ્રાજ્યવાદની મિત્ર છે !

પ્રધાનપદમાં ન સંગ્રહાયલા દેશનેતાઓને લાગ્યું કે મહાસભામાં હિટલરશાહી ચાલી રહી છે.

અને કંઈકને દેખાયું કે સઘળાં દૂષણોનું મૂળ ગાંધી છે.

સનાતનીઓને લાગ્યું કે અંત્યજોને હરિજન બનાવી ગાંધીએ ધર્મ બોળ્યો.

અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે ખાદી ઉપર ભાર મૂકી ગાંધીએ વ્યાપાર ડુબાવ્યો.

સુધારકોને ખબર પડી કે ચારિત્ર્ય ઉપર ભાર મૂકી ગાંધીએ રાજકીય સંસ્થાને મઠ બનાવી દીધો.

રાજસ્થાની પ્રજાને લાગ્યું કે ગાંધીજીએ રાજકોટના ઉપવાસ આદરી દેશી રાજ્યોની પ્રજાને છેહ દીધો.

વિદ્વાનો બથંબથા ઉપર આવી ગયા. હિંદી અને ઉર્દૂની પટાબાજી ચાલી રહી.

પશ્ચિમની સભ્ય લુચ્ચાઈએ મહાયુદ્ધની જ્વાલા પ્રગટાવી.

હિંદની પેઢી દરપેઢીની મૂર્ખાઈ ટોચે ચઢી, અને હતા એટલા સઘળા દુર્ગુણો ફળીફાલીને વિસ્તુત થયા.

રાષ્ટ્રીય મહાસભા અને હિંદુ મહાસભા બંને અંદરખાનેથી એક જ છે અને બંને મુસ્લિમદ્રોહી છે એમ મુસ્લિમ લીગે શોધી કાઢ્યું.

હિંદ પરાધીન છે એ સમૂળ વીસરાઈ ગયું. એનું દુ:ખ નથી હિંદુને કે નથી મુસલમાનને. જેટલા માનવી એટલા વાડા; વાડા એટલે ઝઘડા.

હિંદમાં રાવણ, દુર્યોધન, કંસ, આંભી, જયચંદ, અમીચંદ અને બાજીરાવના ઓળા પથરાઈ ગયા.

હિંદની રંગભૂમિ ઉપર એ છાયા આજ નૃત્ય કરી રહી છે.

આજ શયતાન શાસ્ત્ર પઢે છે.

આખું હિંદ તાળી પાડી એને વધાવી રહ્યું છે !