પૃષ્ઠ:Chhayanat.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૨૧
 


‘કહો તો આજ સાંજ પહેલાં આપણા એ દોઢસોયે બેવફા સભ્યોનાં માથાં ફોડી આવું ! પછી કાંઈ ?' દીનાનાથે કહ્યું.

મને કમને સહુએ ગૌતમને સાથ આપ્યો અને ગૌતમ વગર કૉલેજમાં ન જ જવું એવો નિશ્ચય ફરી કર્યો.

‘તમને છયે જણને પ્રિન્સિપાલ સાહેબ યાદ કરે છે.' એક સમાધાની ગૃહસ્થે આવીને કહ્યું.

‘અમે છ નથી, સાત છીએ.' રહીમે કહ્યું.

‘સાહેબે તો છને બોલાવ્યા છે.'

‘સાહેબને કહો કે એ છ આવશે નહિ.’ રહીમે જવાબ દીધો.

‘તમે લોકો મૂર્ખાઈ ન કરો. છનું થશે તે સાતનું યે થશે. ગૌતમ રહી ન જાય એની શું અમને કાળજી નથી ?' વિદ્યાર્થીઓના સ્વમાનને ભોગે સમાધાન કરવાનું મહાકાર્ય કરતા એ ગૃહસ્થે કહ્યું.

‘તમે જાઓ. એમાં મારે હરકત નથી. મને સાથે લેવો જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખો ?’ ગૌતમે કહ્યું.

'પાછી પેલી મૅચ ચાર દિવસમાં આવે છે. આપણી કૉલેજનું ખોટું દેખાય...' સમાધાનીએ કહ્યું.

'મૅચ? પાછા જાઓ. નહિ તો અહીં જ unequal match - આડુંઅવળું - થઈ જશે.’ દીનાનાથે ધમકી આપી.

‘મૂર્ખાઈ ન કર. સાહેબ બોલાવે છે તો જઈને સાંભળી આવો.' ગૌતમે કહ્યું.

‘પણ મારા વગર કૉલેજમાં જવાનું કહેશે તો ?’ રહીમે પૂછ્યું.

‘તે વખતે શું કરવું તે તમે જાણો. મારો કશો આગ્રહ નથી.' ગૌતમે કહ્યું. અને છયે જણાં સંકોચસહ આગળ વધ્યાં. જતે જતે દીનાનાથે કહ્યું:

'ગૌતમ, અહીં જ બેસજે. અમે આવીએ છીએ.' ગૌતમ ત્યાં જ બેઠો હતો. મેદાન પસાર કરી દઈ કૉલેજની સુશોભિત મંદિર શ્રેણીમાં અદૃશ્ય થતાં છયે જણને તેણે જોયાં.

ગૌતમ નાહિંમત કેમ થયો ? જગતને ફેરવી નાખવાનાં સિદ્ધાંતને વળગી જીવન ઘડનાર શા માટે પગમાંથી જોર ઓસરી જતું અનુભવવા લાગ્યો ?

‘અંહ ! આનું નામ તે આફત કહેવાય ?' ટટાર બેસી ગૌતમ મનમાં બોલ્યો.

અને એકાએક તેનું હૃદય ધડકી ઊઠ્યું.