ઉપર જાત ખરા ?'
'ના જી.'
‘હડતાળ ઉપર ન ગયા હોત તો શું થાત એ ખબર છે ?’
‘ના જી. બધું સરળતાથી ચાલ્યા કરત.'
‘તમારામાં ક્યાં સમજ છે ? હડતાલ ન પડી હોત તો ગૌતમ આજ છુટ્ટો પણ ન હોત. એને ક્યારની હાથકડી થઈ હોત.'
‘એમ ?'
‘નહિ તો ? ગૌતમ શું મારો દુશ્મન છે ? વાતાવરણ પલટી નાખી એના લાભમાં ઉતારવા તો મેં આ બધું કર્યું ! હું ક્યાં બધાને કહેતો ફરું ?’
‘તો હવે એણે શું કરવું ?’
‘બધું મારા ઉપર છોડી દો. ચાર દિવસ એ જઈ આવે એના પિતાને ઘેર. તેમને મેં સમજાવ્યા છે. પછી ભલે કૉલેજમાં આવે.'
‘પરંતુ એને તો આપે કૉલેજમાંથી કાઢી મૂક્યો છે, અને એને પાછો લેવાની ના પાડો છો !’
‘આજની પરિસ્થિતિ ભલે એમ હોય. આવતી કાલ સબળ કારણે મને એ હુકમ ફેરવતાં કાંઈ વાર લાગશે ? દરમિયાન હું બધું રાજકીય ધાંધળ શાંત પાડી દઈશ.’
પ્રિન્સિપાલની મુત્સદ્દીગીરીનો વિજય થયો. વિવેકી વિદ્યાર્થીઓના કુમળા હૃદયમાં દુઃખ ઊપજ્યું. પ્રિન્સિપાલની માફી માગવાનો પત્ર પણ લખાઈ ગયો અને ગૌતમનું ભાવિ પ્રિન્સિપાલના સદ્દભાવ ઉપર ટીંગાવવામાં આવ્યું.
ગૌતમે પોતાના છયે વફાદાર મિત્રો સામે અવિશ્વાસથી જોયું. છતાં તેમના કથનને ગ્રાહ્ય કરી ચાર દિવસ માટે ગૌતમ તે જ સાંજે પોતાના પિતા સાથે ચાલ્યો ગયો.
હડતાળનું પૂરું સમાધાન થઈ ગયું. વર્તમાનપત્રોએ વિદ્યાર્થીઓની લડતને, પ્રિન્સિપાલના માર્દવને તથા સમાધાનીઓની કુનેહને વખાણી સહુને મુબારકબાદી આપતા ખાસ વધારા બહાર પાડ્યા.
પ્રિન્સિપાલ સાહેબનાં કુટુંબીઓએ પ્રિન્સિપાલ સાહેબને ખુલ્લાં અને છૂપાં વખાણથી વધાવ્યા. તેમનાં પત્નીએ નવાં એરિંગ પહેરતે પહેરતે મળવા આવેલાં એક પ્રોફેસરનાં પત્નીને કહ્યું :
‘પેલી વાનરસેના તો ઠેકાણે પડી ગઈ.'
‘બીજું કરે શું ત્યારે ?'