‘છાયાનટ’નું ફરી મુદ્રણ થઈ વાચકો સમક્ષ રજૂ થાય છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.
મુંબઈ- ૧૬ તા. ૯-૧૨-'૭૬
‘છાયાનટ’ મને પોતાને અંગત રીતે ઠીક ગમે એવી નવલકથા છે.
છતાં તેની ત્રીજી આવૃત્તિ થતાં લગભગ બાર વર્ષ થયાં.
એ સમયે પ્રથમની બે આવૃત્તિઓની પ્રસ્તાવનામાં જે લખ્યું હતું તે કરતાં બીજું કાંઈ કહેવાનું નથી. સિવાય કે સને ૧૯૪૧માં ભારતે સ્વરાજ્ય મેળવ્યું ન હતું; આજ તે મળ્યું છે. છતાં એમાં ઉત્સાહનાં પૂર કેમ આવતાં નથી ? હજી એ જ છાયા નટને વળગેલી રહી છે !
વડોદરા તા. ૧૨-૩-'પ૩
‘છાયાનટ’ની નવી આવૃત્તિ મારા મિત્રો આર. આર. શેઠ પ્રગટ કરે છે, અને પ્રથમાવૃત્તિમાં ભેટ તરીકે અપાયેલા પુસ્તકને વિસ્તૃત જનતા સમક્ષ મૂકે છે. હું એ સજ્જન પ્રકાશકોનો આભાર માનું છું.
‘છાયાનટ’ વાંચનારાઓમાંથી બે પ્રશ્નો મને પુછાય છે : ‘વાર્તામાં વર્ણવાયલા નિરાશાવાદ માટે શું પુરાવો છે ખરો ?’
પ્રથમ એક વાત જાહેર કરી દઉં કે હું નિરાશાવાદી નથી. માત્ર નિરાશાને જીવનમાં - રાષ્ટ્રજીવનમાં સ્થાન છે એટલું કોઈ ન ભૂલે.
જે દેશમાં એક પ્રેરણા પાતો રાષ્ટ્રવાદી પાકો કોમવાદી બની રાષ્ટ્રીય પ્રવાહની વચમાં ઊભો રહેતો હોય, લાખો રૂપિયા કમાઈ એ કમાવાનું ચાલુ