તરીકે ખાતરી આપવામાં આવી હતી. અને એમાં ગૌતમની સંમતિ અર્થે સહી લેવાની હતી.
‘તો મારી નોકરીને ધોખો પહોંચશે અને તારું ભણતર અટકી પડશે.' વિજયરાયે કહ્યું.
‘મારા ભણતરનો ભાર હવે તમારે માથે રહેવા નહિ દઉં.' ગૌતમે કહ્યું.
'પણ નોકરીનું શું ?’
‘તમે કલેક્ટર સાહેબને કહી દો કે તમે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે.'
'મારા એકના એક દીકરા સાથેનો સંબંધ મારે તોડવો ?' વિજયરાયની આંખો ચમકવા લાગી. એ ચમકારામાંથી પાણી નીકળી પડશે એવો ગૌતમને ભય લાગ્યો. દેશની પરાધીનતા કરતાં પણ કૌટુંબિક પરાધીનતા તેને વધારે લાગી ! પિતાની આંખમાં અશ્રુ જોવા કરતાં મરવું એ તેને વધારે શ્રેયસ્કર લાગ્યું.
પરંતુ મૃત્યુનો જ નહિ, સંબંધના અભાવનો જ ખ્યાલ પિતાના હૃદયને દુ:ખી બનાવતો હતો. ગૌતમને પોતાને પણ પિતાના દુઃખની તીવ્રતા સમજાઈ. પિતાનો પ્રેમ અદ્દભુત હતો, પવિત્ર હતો, અનિવાર્ય હતો. છતાં એ પ્રેમ વ્યક્ત થવામાં ગૌતમના વ્યક્તિત્વનો વિનાશ સર્જાઈ રહ્યો હતો. સમાજ પ્રેમને કરવત બનાવી રહી હતી. પિતા - નિ:સ્વાર્થી પ્રેમી પિતાની આંખમાં અશ્રુ નિહાળવાં કે વ્યક્તિત્વને ઝબે થવા દેવું ?
તે વ્યક્તિત્વને પણ ઝબે કરવા તૈયાર હતો. પરંતુ એમાંથી કયો ઈપ્સિતાર્થ સિદ્ધ થવાનો ? એથી પરાધીનતાનું એકાદ બંધન તૂટતું હોય, દેશબાંધવોમાંથી કોઈને એકાદ ટંકનું પોષણ મળતું હોય તો એ કુરબાની સાર્થક થાય. આમાં કયી સાર્થકતા ? પિતાની નોકરી જતાં કુટુંબનાં ચાર માણસોને પોષણ મળતું બંધ થાય એ નીતિમાં એક આખી દેશસેવાની સૃષ્ટિ ઉપર જ્વાલામુખી ફરી વળતો હતો !
‘મોટાભાઈ, તમારી પાસે કશી જ રકમ ભેગી થઈ નથી ?' ગૌતમે પૂછ્યું.
'ના.'
'પણ તમારી સાથેના કૃષ્ણરાય કાકાએ તો હવેલી બંધાવી અને જમીનો લીધી.'
‘હુંયે હવેલી બંધાવી શકત અને જમીનો લેઈ તને જમીનદાર બનાવી