[૬]
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
રાયદે બહાવરટિયાની આખી કથા મેળવવા માટે
સુયોગ આ રીતે બન્યો. હરદાસ રાણસૂર લુણા નામના એક
ચારણભાઈ મળવા આવ્યા. કહે કે, થોડાક છંદો રચીને લાવ્યો
છું. આ રીતે નવાં જોડકણાં કરી કરીને લાવવાનો જે શોખ
અત્યારના ચારણોમાં લાગ્યો છે તેની છાપ મન પર સારી
નથી. એ કૃતિઓ નકલી હોય છે. વિશેષમાં એની અંદર
રાષ્ટ્રીય ભાવનાનું પોતું મારેલું હોય છે. મને એમાં રસ નહોતો.
જુવાન હરદાસને કહ્યું: ‘તમારી રચનાને તો શું કરું ! પણ તમે તુંબેલ ચારણ છો, તો જાવ બારાડીમાં, રાયદેનો કડીબંધ કિસ્સો લઈ આવો.’
ભલો જુવાન, થોડે મહિને સાંગોપાંગ, એના હસ્તાક્ષરોમાં જ આવડ્યું તેવું ઉસરડી આવ્યો. સૂચના આપેલી. કે રાયદે વિશે જે શબ્દોમાં વાતો સાંભળો તે જ શબ્દો, રૂઢ પ્રયોગો, વાક્યો, વહેમો, માન્યતાઓ, બિલકુલ ઓપ ચડાવ્યા વગર ટપકાવજો. એ સૂચનાનું હરદાસ ગઢવીએ અણીશુદ્ધ પાલન કર્યું, પરિણામે આપણને, આગલા પ્રકરણમાં જોયું કે, તાદૃશ શબ્દચિત્ર મળ્યું.