કવિતા આગળ જાય છે. હિંદી કવિતાના પ્રદેશ–વિસ્તારમાં તો
ગર્ભાધાન, ગર્ભ માટેના વલવલાટ, રજસ્વલાપણું, બજારમાં
વેચાતી વસ્તુઓનાં મૂલ્ય અને મચ્છીની જૂજવી જાતો પણ
સમાવેશ પામે છે.’
સગર્ભાવસ્થાનું કાવ્ય એ તો દેખીતી રીતે જ રમ્ય અને ભયાનક વચ્ચેનું લગ્ન કહેવાય. આદિવાસીની કવિતાએ આ બે પરસ્પરવિદ્રોહી ભાવોનું મિલન આ રીતે સાધી આપ્યું :–
પૂનમ ઊગે છે,
છતાં મારું માથું કોરું છે,[૧]
કૂવા-કાંઠે જાઉં છું,
પૂનમનો ચાંદો ઉગે છે,
ઊંડા ધરામાં માછલી મહાલે છે,
આંબાની ડાળીઓ ધરતીને ઝળુંબે છે.
બીજા માસનો ચાંદો ઢળે છે,
વાડીમાં નવી કળીઓ ફૂટી છે,
પિયુ મારા ફૂલની સુવાસ ચાહે છે.
ત્રીજા મહિનાનો ચાંદો ઢળે છે,
મારું માયલું જીવન વિચિત્ર ખાદ્યોની ઈચ્છા કરે છે,
કાદવ અને ભૂતડો ખાવાનું મન થાય છે.
ચોથે મહિને —
સિદૌરીને[૨] અવસરે મા આવે છે.
એને ખોળે ચડીને સાત જાતનાં અન્ન આરોગું છું.
પાંચમા માસની પૂનમ —
અંગોમાં છૂપું જીવન સળવળે છે.
ઓ મારા વહાલુડા ! તારા પ્રાણધબકાર સંભળાય છે,