પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
 


‘પાછા જવું હોય તો—’ હું વાક્ય પૂરું કરી શક્યો નહિ. એ કહે—

‘ના, ના, હવે તો અમે અમારે વતન જ જશું.’

‘મેં ખરચી આપી. તેઓ કચ્છ ચાલ્યા ગયા. પછી તો ઘણે વખતે સાંભળ્યું કે એ જુવાન મરી ગયો.’

દોષની વહેંચણી કર્યા વગર, વિધિના વિધાનની અટલતાને ઓળખનાર દરબારશ્રી વાજસુરવાળા આ પ્રસંગને સમતાપૂર્વક વર્ણવતા હતા. કલાપીના જીવન અને કવનના અંતરંગ સાહેદ આ કલાપી–મિત્ર એક નિર્મળ ઈતિહાસકારની અદાથી બનેલી વાત આગળ બોલતા હતા—

‘પણ વરસ નહોતું વીત્યું તેટલામાં અનુભવે ઠાકોર સાહેબને નિર્વેદ પાઈ દીધો. મને કહ્યું કે ‘ભાઈ, મેં ભૂલ કરી છે તે હવે હું જોઈ શક્યો છું.’ કલાપીએ અનુભવેલી વિફલતાને આ કાવ્યમાં ગાઇ છે—

સાકી! જે શરાબ મને દીધો;
દિલદારને દીધો નહિ.
સાકી! જે નશો મુજને ચડ્યો,
દિલદારને ચડ્યો નહિ.

શી દિવ્યતા? શી વિફલતા ? શી પાર્થિવતા ? એ પ્રશ્નનો વધુ વિગતવાર જવાબ દરબારશ્રી પાસેથી મળતો નથી. કહે છે કે ગોપીચંદ–જાલંધર, જેસલ–તોરલ વગેરે સંવાદોના સર્જનમાં એ પછી ઊતરી ગયેલ કલાપી જો જીવ્યા હોત તો ભજનરચનામાં જ એની કવિતા પરિપાક પામત.