પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
છેલ્લું પ્રયાણ
 


અને પેલા કુંવર-કેસનાં કાગળિયાં ‘કમ્પ્લીટ’ થયાં, એક સીસમની પેટીમાં મુકાયાં, પેટીને તાળું દેવાયું. પેટી લઈને જવાબદાર માણસ સેકન્ડ કલાસમાં રાજકોટ ઊપડે છે. વચલે એક સ્ટેશને અસલ એવી જ બનાવટની એક પેટી લઈને એ જ સેકન્ડ કલાસમાં એક બીજો પ્રવાસી ચડે છે, ને પછી જેતલસર જંકશને એ નવો પ્રવાસી પેટી લઈને ઊતરી જાય છે. સરકારી માણસ રાજકોટ પહોંચીને પોતાની પેટી લઈ કચેરીએ જાય છે, પેટી ઉઘાડવાની વેળા થાય છે ત્યારે ખબર પડે છે કે પેટી તો બદલાઈ ગઈ હતી. સરખી જ બનાવટની બીજી પેટી બની ક્યાં, જાણભેદુ કોણ, બદલાવીને લઈ ગયો ક્યાં? પત્તો મળ્યો નથી–—પેટીનો, પેલાં સ્ત્રી-પુરુષનો ને સુવાવડી ગણાવેલી કાઠિયાણીનો. ડૂમાના નવલ-પ્રદેશમાં કે શેરલોક હોમ્સની સૃષ્ટિમાં રમતા હાઈએ એવી આ સોરઠી દુનિયા હજુ ઝાઝી દૂર ગઈ નથી.

+

ઝાઝું દૂર ગયું નથી જામ વીભાનું પણ વિલક્ષણ મોત. સફીઆણ–જાયો જસોજી જામ જુવાનીમાં જ ગુજરી જાય છે. વીભા જામ પર સરકારનો કાગળ આવે છે, કે દેશવટો ભોગવતા તમારા પહેલા કુંવર કાળુભાના જ પુત્રને વારસ બનાવો એવી અમારી સલાહ છે એ કાગળ જામ વીભા ગાદી તળે દબાવી રાખે છે. રાતે જામ સાહેબ પોતાના વજીર ગોકળ ખવાસને બોલાવે છે. કહે છે: ‘હેં ગોકળભાઈ, કાળુભાના કુંવરને ગાદીએ બેસારીએ તો ઠીક નહિ?’

‘ઠીક — ઘણું ઠીક બાપુ ! એ તો બહુ પાધરું !’