'બહારવટિયે પૂછયું: 'કેમ આવવું પડયું, પારેખ ?'
'કહે કે, પિરસણું લઈને.' એમ કહી વીસ મણ લાડવા હાજર કર્યા.
'અરે પણ આટલું બધું ?'
'હા, જોવે.'
'બીક ન લાગી ?'
'ન લાગે. કળ કોણ?'
'પછી પાછા ફરી ગયા.'
¤
એ સેન્ડહર્સ્ટ રોડ પરના મકાનમાં આ વાત કહેનારનું નામ મળે છે ટાંચણમાં: એ હતા જીવા પારેખના પૌત્ર દ્વારકાદાસ પારેખ. એમની ચોકસાઈ પણ કેટલી બધી હતી ! પાછળથી એમણે મને કહેવરાવ્યું કે આ કિસ્સો જોગીદાસ ખુમાણનો નહિ પણ એમની પછીના બહારવટિયા, ક્રાંકચના ઉન્નડ ખુમાણનો છે.
પારેખના પુત્ર ભગવાનભાઈનું જિગર કેટલું જબરું હશે! હાડોહાડ વૈરથી ભરેલા બહારવટિયાની સાવઝ-બોડમાં જનાર એ વણિકને બાન પકડાવાની પૂરી સંભાવના હતી. ને બાનને બહારવટિયા ખતમ પણ કરતા. એ જાણ્યા છતાં પોતે ચાલ્યા અને દીકરાનાં લગ્ન વચ્ચે આવી હામ ભીડ. વણિકના રક્તમાં રાજપૂતી હતી.
મારા મેઘાણી કુટુંબનો જ એક કિસ્સો યાદ ચડે છે.