આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમન્ત મહારાજ સયાજીરાવ
ગાયકવાડ
તેજછાયાનું એક ચિત્ર
છાયા વિનાનું તેજ કોઈ એ દીઠું છે ? જગત્નો મધ્યાહ્ન તપતો હોય છે ત્ય્હારે યે જગત્માં પડછાયાઓ પડેલા નથી હોતા ? સૂર્યમાં સૂર્યધાબાં છે, અને પૃથ્વીનો ગોલાર્ધ નિરન્તર અન્ધકારમાં જ હોય છે. વિશ્વમાં દિવસ અને રાત્રિ ઉભય છે. પરાજય ન જ દીઠા હોય ત્હેવો અજીત વિજયનોબત જ સુણનારો સેનાપતિ માનવ ઇતિહાસે દીઠો નથી. આવા કુદરતી નિયમને લીધે કોઈ પણ મનુષ્યની તુલના જમેઉધારના સરવૈયાથી જ થઈ શકે. ઉડી જતાં ધુમ્મસથી છલાછલ ભરેલી સ્હવારની વનમાલામાંથી તેજછાયાના મનોહર વાઘા સજીને ઉપર તરી આવતા કોઈ શિખર સમોવડ મહારાજ સયાજીરાવ ગુજરાતનાં વન ઉપર આજે તરી આવે છે.