મહારાજ સયાજીરાવ જેમ મહારાજા છે ને વડોદરાની પ્રજાના પિતા-બાપુ નથી, તેમ મહારાણી સાહેબ પણ વડોદરાનાં મહારાણી છે ને વડોદરાની પ્રજાનાં માતૃશ્રી નથી. પ્રજાનાં નરનાર પોતાનાં વ્યક્તિગત સુખદુઃખો રડવા ત્ય્હાં જતાં હોય કે ત્ય્હાંથી સુખદુઃખના દિલાસા કે દિલારામ મેળવી આવતાં હોય તો જાણમાં નથી. છતાં યે મહારાજ સમાં મહારાણી પણ પ્રજાની સન્મુખ રાજઆદર્શરૂપ ને નેતા સમાન છે. મહારાજનાં પ્રતાપ ને જાજ્વલ્ય મહારાણીજીમાં પણ ઓછાં નથી. વડોદરાના રાજદરબારોમાં મહારાણીજી પ્રમુખ સિંહાસન શોભાવે છે. વડોદરાના સ્ત્રીસ્માઅજમાં જ એક પ્રકારની છટા ને ભભક છે, સૌન્દર્ય તો નહીં પણ અમુક પ્રકારની રસિકતા ને એ રસના આખી યે દેહમૂર્તિમાં ઓજસ ને હિન્ડોલ હોય છે. વડોદરાના મહિલામંડલની એ બહાર મહારાણીજીમાં પણ, વસન્તની બહાર સમી, ખીલી નીકળેલી છે. લગ્નસમયનાં નિરક્ષર મહારાણીજી ગ્રન્થકર્ત્રી તરીકે સરસ્વતીઉદ્યાનમાં યે પધારેલાં છે અને સ્ત્રીશિક્ષણના સદનુભવને પરિણામે સ્ત્રીશિક્ષણના ઉત્તેજન કાજે-Scholarships-વિદ્યાર્થીવૃત્તિઓ સ્થાપેલ છે. પડદાના રીતરિવાજમાં ઉછરેલાં મહારાણીજી વડોદરામાં કોઈ કોઈ વાર ને મુંબઈમાં વારંવાર જનાનખાનાનો પડદો ખસેડે છે, અને પરમુલકમાં પદદો રાખતાં નથી. મહારાજનાં સમાં શિકારી, મહારાજના જેવાં લોકહિતચિન્તક, મહારાજના સરિખડાં પૃથ્વીકમ્માવાસી, મહારાજને પગલે પગલે