વડલે માત્ર લલિતજી વિરાજમાન છે. એ હકીકત તો મહારાજા સાહેબને અજ્ઞાત નહીં હોય કે ગુર્જર પ્રજાને મન પ્રમુખપદે વડોદરા પ્રેમાનન્દનું અને પછી ગાયકવાડનું છે રમેશચન્દ્ર દત્ત જેવા ઇતિહાસસંશોધકે પ્રેમાનન્દને વિસારેલ છે, અને મહારાજે પણ પાંત્રીસ વર્ષમાં એ સાહિત્યદેવનું દેવાલય રચાવેલ નથી. પ્રાચીન કાવ્યમાલા, પાટણના ભંડારમાંથી દ્વયાશ્રય સમાં પુસ્તકોનો ઉદ્ધાર, જ્ઞાનમંજૂષાની માલા: સાહિત્યવિલાસી મણિભાઈ અને સાક્ષરરત્ન પ્રો. ગજ્જરનાં એ ભૂતકાલનાં સ્મરણો છે, ને વર્તમાનની વહતી તે ગંગા નથી. હાલ નરનારનાં ચિત્તનો ચોર રસીલો દયારામ અને ગુર્જર કવિચક્રચૂડામણિ પ્રેમાનન્દ : ગુર્જર કાવ્યદેવીના એ દેવપુત્રોની જેવી અને જેટલી પૂજાવન્દના મહારાજ ગાયકવાડ ને ત્હેમનું સાહિત્યરસિક કુટુંબ કરશે ત્હેના પ્રમાણમાં ગુર્જર પ્રજા ત્હેમને ગુજરાતી ગણશે. વિશાલ વડોદરાના દેશરાજવી શ્રીમન્ત સયાજીરાવ છે, પણ વડોદરાના હૃદયરાજવી તો ભટ્ટ પ્રેમાનન્દ જ છે.
વડોદરાથી ઈશાનમાં અઢારેક ગાઉ ઉપર પાવાગઢ પવનગઢનો ગિરિદુર્ગ છે. આકાશના વાદળિયા ચંદરવા નીચે ઉભેલા એ એકાકી ખડકને દિશદિશમાંથી આવીને પવનની ઉર્મિમાલા અથડાય છે: ગિરિશૃંગ ત્હેમને સર્વને સત્કારતું નિજસમાધિમગ્ન તે ઉછળતી તરંગમાલાઓ વચ્ચે અડગ