આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ચિત્રદર્શનો
અન્ધકાર પણ અલૌકિક હતો.
બ્રહ્માંડ ઝીલતા એ તમસાગરને આરે
સહોદર સંગે હું ઉભો હતો.
સાગરના મહામોજ
નયન આગળ રમતા,
અમને શીકર છાંટતા,
પણ અમે એ જાણતા નહીં.
વિમાન આવ્યું, સૌ બેઠાં;
અન્ધારરાત્રિના હૃદયમાં અમે વ્હેવા માંડ્યું.
પછી ?—પછી પગ લપશ્યો કે શું ?
બન્ધુ ! તું ક્ય્હાં ગયો ?
તમ્મસાગર માનવ દૃષ્ટિને અગાધ છે:
ત્હેનું યે વજ્રતલ ફોડી પાર ગયો ?
ત્ય્હાં તો પ્રભુદેશ છે.
શબ્દ થયો ? પડઘો પડ્યો ?
આઘે આઘે કોકિલા શું બોલી ?
અનિલલહરીની શું પાંખ ફરૂકી ?
ધીમી ધીમી ફૂલડાં વાતો કરે છે ?
કે વીર ! ત્હારા બોલ શા,
પ્રભુભૂમિનાં ગીતનો મીઠડલો તે કલરવ ?
પ્રભો ! એ ક્ય્હાંનો મધુરો સિત્કાર ?