પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિવેદન

[પહેલી આવૃત્તિ વેળા]

સલી શૈલીમાં ઊતરી આવેલી આ વાર્તાઓ ગુજરાત વિદ્યાપીઠ, શામળદાસ કૉલેજ તથા દક્ષિણામૂર્તિ ભવનના વિદ્યાર્થી સમુદાય સમક્ષ અને ખાસ કરીને તો જ્યાં આ તમામ લોકસાહિત્યની પ્રથમ અજમાયશ કરવાની તક મળે છે તે ભાવનગરના મહિલા વિદ્યાલયની અંદર કહી બતાવવામાં આવેલી છે. ત્યાંનાં શિક્ષક બંધુ-બહેનોએ તેમજ નાનાં મોટાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આ વાર્તાઓ સાંભળતાં નિર્મળ તન્મયતા અનુભવેલી છે. તે પરથી પ્રતીતિ થઈ શકી છે કે આ વાર્તા-સમૂહને શિક્ષણની દુનિયા સાથે પણ પ્રાણસંબંધ છે.

બાકી તો આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે, એટલે જ હર્ષભેર પ્રગટ કરીએ છીએ.

રાણપુર : [1927]

[બીજી આવૃત્તિ વેળા]

'દાદાજીની વાતો' લોકસાહિત્યના મેદાનમાં નવા જ સાહસરૂપે ઝુકાવેલી, અને તે સાહસ સફળ બન્યું છે. ઘણા વાચકોએ એને એક જ બેઠકે પૂરી કરી હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. નાનાં મોટાં બાળકોએ પણ છટાદાર ચારણી જોશ સાથે એ વાતો મોટા અવાજે વાંચી શુદ્ધ બલદાયી કલ્પનાના વિહાર માણ્યા છે.

બીજા ભાગ માટે તો આથી પણ અધિક પ્રેમશૌર્ય ને સાહસ પ્રબોધનારી, ગુર્જર વાણીને સમૃદ્ધ બનાવે તેવી શૈલીવાળી અદ્ભુતની અદ્ભુત છતાં યે વ્યવહારુની વ્યવહારુ વાતો તૈયાર છે, પણ છાપવાને સમય નથી મળતો. પણ મારા નાના દોસ્તો! હવે બહુ વાટ નહિ જોવરાવું.

ભાદરવી અમાસ : સંવત ૧૯૮૩ [સન 1927]

[ચોથી આવૃત્તિ વેળા]

છેલ્લાં બે વર્ષોથી ત્રીજી આવૃત્તિ ખલાસ થયેલી, નવેસર છપાવવામાં આનાકાની