પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મન હરણ કરે. તેઓ માલિકોનાં મન હરણ નથી કરી શકયા, કેમ કે મજૂરો મન, વચન, કાયાથી નિર્દોષ – શાંત ન ગણાય. તેઓ કાયાથી શાંત રહ્યા એ પણ ઘણું મનાય.

પાંચમી લડત ખેડાની. આમાં બધા નેતાઓએ કેવળ સત્ય જાળવ્યું એમ હું નથી કહી શકતો, શાંતિ તો જળવાઈ રૈયતવર્ગની શાંતિ કંઈક મજૂરોના જેવી કેવળ કાયિક જ હતી. તેથી માત્ર માન જ રહ્યું. લોકોમાં ભારે જાગૃતિ આવી, પણ ખેડાએ પૂરો શાંતિપાઠ નહોતો લીધો; મજૂરો શાંતિનું શુદ્ધ સ્વરૂપ સમજ્યા નહોતા; તેથી રોલેટ એક્‌ટના સત્યાગ્રહ વેળા લોકોને સહન કરવું પડ્યું, મારે મારી હિમાલય જેવડી ભૂલ કબૂલ કરવી પડી ને ઉપવાસ કરવા-કરાવવા પડયા.

છઠ્ઠી લડત રૉલેટ કાયદાની. તેમાં આપણામાં રહેલા દોષો ઊભરાઈ આવ્યા. પણ મૂળ પાયો સાચો હતો. દોષો માત્ર કબૂલ કર્યા; પ્રાયશ્ચિત્ત કર્યું. રૉલેટ કાયદાનો અમલ તો કદી ન થઈ શકયો ને છેવટે એ કાળો કાયદો રદ પણ થયો. એ લડતે આપણને મોટો પાઠ આપ્યો.

સાતમી ખિલાફત, પંજાબ ને સ્વરાજની લડત. તે ચાલી રહી છે. તેમાં એક પણ સત્યાગ્રહી સાબૂત રહે તો વિજય છે જ એ મારો વિશ્વાસ અડગ છે.

પણ ચાલુ લડત મહાભારત છે. તેની તૈયારી અનિચ્છાએ કેમ થઈ તેનો ક્રમ હું આપી ગયો છું. વિરમગામની જકાત વખતે મને શી ખબર કે બીજી લડતો લડવાની રહેશે ? વિરમગામની પણ મને દક્ષિણ આફ્રિકામાં થોડી જ ખબર હતી ? સત્યાગ્રહની એ ખૂબી છે. તે આપણી પાસે આવી પડે છે, તેને શોધવા જવું પડતું નથી. એ તેના સિદ્ધાંતમાં જ રહેલો ગુણ છે, જેમાં કાંઈ છૂપું નથી, જેમાં કાંઈ ચાલાકી કરવાપણું નથી રહેતું, જેમાં અસત્ય તો હોય જ નહીં, એવું ધર્મયુદ્ધ તો અનાયાસે જ આવે છે; અને ધર્મી તેને સારુ હંમેશાં તૈયાર જ હોય છે. પ્રથમથી રચવું પડે તે ધર્મયુદ્ધ નથી. ધર્મયુદ્ધનો રચનાર અને ચલાવનાર ઈશ્વર છે. તે યુદ્ધ ઈશ્વરને નામે જ ચાલી શકે અને જ્યારે સત્યાગ્રહીના બધા