પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહેવાય. જો દક્ષિણ આફ્રિકામાં લડત ન લડાઈ હો તો આજે દક્ષિણ આફ્રિકામાંથી જ નહીં પણ બધાં અંગ્રેજી સંસ્થાનોમાંથી હિંદીઓનો પગ નીકળી ગયો હોત ને તેની ભાળ સરખી પણ ન લેવાઈ હોત. પણ આ જવાબ પૂરતો અથવા સંતોષકારક ન ગણાય. એવી દલીલ પણ થઈ શકે કે, જે સત્યાગ્રહ ન થયો હોત પણ લેવાય તેટલું કામ સમજૂતીથી લઈને બેસી ગયા હોત તો આજે જે સ્થિતિ છે તે ન હોત. આ દલીલમાં જોકે કાંઈ વજૂદ નથી છતાં જ્યાં કેવળ દલીલોના અને અનુમાનોના જ પ્રયોગ થાય ત્યાં કોની દલીલ કે કોનાં અનુમાનો ઉત્તમ એ કોણ કહે ? અનુમાનો કાઢવાનો સહુને હક છે. ઉત્તર ન દઈ શકાય એવી વાત તો એ છે કે જે શસ્ત્ર વડે જે વસ્તુ લેવાય તે જ શસ્ત્ર વડે તે વસ્તુ રાખી શકાય.

'કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ્ય વહી બાણ.'

જે અર્જુને શિવજીને હરાવ્યા, કૌરવોનો મદ ઉતાર્યો, તે જ અર્જુન જ્યારે કૃષ્ણરૂપી સારથિરહિત થયો ત્યારે એક લૂંટારાની ટોળીને પોતાના ગાંડીવ ધનુષ્યથી ન હરાવી શકયો ! તેવું જ દક્ષિણ આફ્રિકાના હિંદવાસીઓનું છે. હજુ તો ઝૂઝી રહ્યા છે. પણ જે સત્યાગ્રહ વડે તેઓ જીત્યા, તે શસ્ત્ર જે ખોઈ બેઠા હોય તો તેઓ અંતે બાજી હારી જવાના. સત્યાગ્રહ તેમનો સારથિ હતો ને તે જ સારથિ તેમને સહાય કરી શકે તેમ છે.

नवजीवन, પ-૭-૧૯૨૫

મોહનદાસ કરયમચંદ ગાંધી