પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તપાસાવી લીધો હતો. એટલે એ સુધારાવધારા અા આવૃત્તિમાં યથાસ્થાને કરી લેવામાં આવ્યા છે.

ઈતિહાસની મહત્ત્વની તારીખવારી છેવટે આપી હોય તો અભ્યાસીને ઉપયોગી થાય. તે દૃષ્ટિએ પરિશિષ્ટ રૂપે તે આપવામાં આવી છે.

એ ઉપરાંત એક બાબત તરફ ધ્યાન ખેંચવાનું રહે છે. શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ આ સત્યાગ્રહની લડતના એક સૈનિક હતા. તેમણે તે વખતનાં પોતાનાં સંસ્મરણો 'ગાંધીજીની સાધના' રૂપે લખ્યાં છે, તેની પ્રસ્તાવનામાં તેમણે એક બાબતનો ઉલ્લેખ કર્યો છે, તે આ પુસ્તકમાં પા. ર૮૬-૮૮ ઉપર આવતી, પૂર્વ બા ત્યાંની લડતમાં કેવી રીતે જોડાયાં, એ હકીકતને અંગે છે. તેમાં શ્રી રાવજીભાઈએ તેમની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે લખ્યું છે :

“અા નવી આવૃત્તિમાં, પૂ. બાના અવસાન પછી, એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો તે સંબંધે સ્પષ્ટતા કરવાની જરૂર છે :

"દ૦ આ૦ની છેલ્લી લડતમાં પૂ૦ બા જોડાય તે માટે બાપુજીએ કરેલા પ્રયત્ન વિશે 'શુભ શરૂઆત' એ પ્રકરણ વિશે કંઈક સ્પષ્ટતા કરવાની જરૂર છે. 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ'માં બાપુજીએ કાંઈક જુદું લખ્યું છે કે સત્યાગ્રહની લડતમાં સ્ત્રીઓને સામેલ કરવાનો વિચાર થતાં શ્રી છગનલાલ ગાંધીનાં પત્ની કાશીબહેનને અને શ્રી મગનલાલ ગાંધીનાં પત્ની સંતોકબહેનને પ્રથમ વાત કરી અને તેમને તૈયાર કર્યા, અને પછી બા તેમાં સામેલ થયાં. પણ આ પ્રકરણો પ્રસિદ્ધ કરતાં પહેલાં બાપુજી પાસે હું વાંચી ગયો, ત્યારે બાપુજીની સરતચૂક વિશે મેં તેમનું ધ્યાન ખેંચ્યું અને ઉપરના પ્રકરણ વિશે મેં ખાતરી આપી. બાપુજી પણ વિમાસણમાં પડ્યા અને બાની સાક્ષી ઉપરથી નિર્ણય કરવાનું ધાર્યું, બાને બોલાવ્યાં અને અમારી બંનેની વાત તેમની પાસે મૂકી. બાએ જણાવ્યું કે, 'રાવજીભાઈની બધી વાત સાચી છે. એ તો જાણે કાલે સવારે જ બન્યું હોય એવું મને સ્પષ્ટ યાદ છે.' આ ઉપરથી બાપુજીએ જણાવ્યું કે, તો તો મારી સરતચૂક થઈ છે. તે પુસ્તકની નવી આવૃત્તિમાં તે ભૂલ સુધારવી રહી."