પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાચક જોશે કે, શ્રી રાવજીભાઈ આ પ્રસંગ વિશે તેમની ઉપર કહેલી ચોપડીમાં 'શુભ શરૂઆત' નામે પ્રકરણમાં જે લખે છે, તેમાં ગાંધીજીએ લખેલાથી જુદી હકીકત આવે છે. તે ભાગ આ આવૃત્તિમાં અંતે પરિશિષ્ટ – ર તરીકે આપ્યો છે. એ પ્રમાણે નવી આવૃત્તિમાં સુધારવાનું ગાંધીજીએ વિચારેલું, પરંતુ તે તો હવે કેમ કરીને બને ? એટલે આ નિવેદનમાં એ તરફ વાચકનું ધ્યાન ખેંચીને સંતોષ માન્યો છે. વાચકને ભલામણ છે કે, આ ભાગ વાંચતી વખતે તે શ્રી રાવજીભાઈએ એ પ્રસંગ વિશે આપેલો ચિતાર પરિશિષ્ટ – રમાં ઉતાર્યો છે તે જુએ.

ગાંધીજીનું આ પુસ્તક શાળા-મહાશાળાઓમાં તથા સામાન્ય વાચકોમાં પણ વધુ આવકારને પામશે, અને કેવળ સાહિત્ય – દૃષ્ટિએ પણ અા મૌલિક ઇતિહાસ-ગ્રંથની કદર હવે થશે, એવી આશા છે.

૨૮ – ૩ – 'પ૦