પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
દેશી રાજ્યોનો પ્રશ્ન

કરવાનો ધર્મ ભૂલી ગયા છે; પોતે પવિત્રતા જાળવી નથી શક્યા. અને શાસ્ત્ર તો પાકારીને કહે છે કે, જે કુળમાં કૃષ્ણ જન્મેલા તેમાં પણ વ્યભિચાર, શરાબ, જૂગટું એ વસ્તુનો ત્રિદોષ દાખલ થયો એટલે તે કુળનો કૃષ્ણના જીવતાં નાશ થયો. કૃષ્ણને તો યાદવીના અને સત્યાનાશના સાક્ષી થવું પડ્યું. તેથી હું કહું છું કે, રાજા એવા થાઓ કે કચ્છની પ્રજાને કશું કહેવાનું જ ન રહે. રાજા પવિત્ર અને સારો હોય ત્યાંસુધી તો પ્રજા તેને મદદ કરે, ન્યાય ચલાવવામાં મદદ આપે, વિઘોટી ભરે; પણ તે અત્યાચારી થાય તો ? તો શાસ્ત્ર કહે છે કે બધી વાત રાજાને સંભળાવવાનો પ્રજાનો ધર્મ થઈ પડે છે. કારણ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, ‘યથા રાજા તથા પ્રજા’ જેટલું સાચું છે તેટલું જ ‘યથા પ્રજા તથા રાજા’ સાચું છે; અને એ જ વસ્તુ બી઼જા શબ્દોમાં એક અંગ્રેજી કહેવતમાં પણ આવી જાય છે કે જે રાજ્યને તમે લાયક હશો તેવું રાજ્ય તમને મળવાનું. એટલે એકબીજાની એકબીજા ઉપર અસર થયા જ કરે છે. પ્રજાનાં સત્ય, વીર્ય, દૃઢતાની રાજા ઉપર અસર પડ્યા વિના રહેતી નથી, અને રાજાના અત્યાચારની અને અસત્યની પણ અસર થયા વિના રહેતી નથી. ત્યારે કચ્છની સાહસિક, દરિયા ખેડનારી, અને પૃથ્વીને પ્રદક્ષિણા મારી પૈસા એકઠા કરનારી પ્રજાનું કર્તવ્ય શું છે? જો તમે મને જે જે દુઃખોની વાત આડકતરી રીતે સંભળાવી છે તે સાચી હોય તો વિનયપૂર્વક, પ્રેમપૂર્વક બધાં દુઃખ — બધી ફરિયાદ રાજાને સંભળાવતાં સંકોચ શેનો? એ બધાં દુઃખોની ઉપર મહારાવને મળ્યા વિના મારાથી ટીકા શી રીતે થાય ? પણ એ બધાં દુઃખ સાચાં હોય તો, તમને કહું