પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૩
સત્યાગ્રહીની વરાળ

૨. એક યુવાનને હદપારી ફરમાવી છે. તે ભાઈ મૂળ બ્રિટિશ રૈયત છે, પણ ૨૩ વર્ષોથી વણોદ રહેતા. તેમને સગાંવહાલાંમાં જતાં વણોદની હદ માર્ગમાં આવે છે.
૩. પોલીસો તથા બીજા દરબારીઓ લાઠીઓ લઈ ફરે છે, પ્રજાને ત્રાસ આપે છે.
૪. ન્યાયાધીશને અમારા કેટલાક પર ખોટા કેસો કરવા જણાવ્યું. તેમણે ના પાડતાં રાજીનામું માગ્યું, અને નવો માણસ શોધાય છે જે દરબારની ઇચ્છા પ્રમાણે કરી આપે.
પ. મને કાંઈ કરી નહિ શકવાથી ગામના બીજા આગેવાનો પર ખોટા કેસો કરી તેમને સંડોવવા તજવીજ ચાલે છે. દેશી રાજ્યોમાં ખોટા કેસો કેવી રીતે સાચા થાય છે અને પ્રજા કઈ રીતે પીડાય છે તે તો તેમાં રહેલા જ જાણી શકે. તેથી આગેવાન વેપારીઓ વગેરે હિજરત કરે છે.
૬. ૧૦-૧૨ કુટુંબો ભાવિ ત્રાસથી બચવા હિજરત કરી ગયાં છે. તેમનો ગુનો મારા પર થયેલ અત્યાચાર વખતે માત્ર હડતાળ પાડવાનો જ છે. આપશ્રી પકડાઓ કે પૂજ્ય મોતીલાલજીનું અવસાન થાય તોયે એ લોકો ડરના માર્યાં હડતાળ પાડતા ન હતા. આ વખતે અસહ્ય લાગવાથી જ પોતાની સલામતી ખાતર હડતાળ પાડેલી.
૭. આ કુટુંબોને વણોદમાં ઘરબાર, માલમિલકત છે, જરજમીન છે, તેમાંના વેપારીઓને ધીરધાર છે, એ બધાનું દરબારપાણી કરાવવાના. સ્થાવર મિલકત તો, અમારા પાપે ઘડાયેલ પંદરમી સદીના કાયદા મુજબ, રાજ્યને કબજે જ જવાની. રહી ઉઘરાણી, જે માટે ગામમાં જવું એ લોકોને માટે ખૂબ જ જોખમભર્યું છે.
૮. હું, મારો નાનો ભાઈ અને મારા પિતા — અમારા પર ખોટા કેસો કરી, ગમે તે ભોગે પ-૭ લાખ રૂપિયાની આ કુટુંબોની મિલકત છે તે ખલાસ થઈ જાય તોયે, અમને પકડી મંગાવી હેરાન કરવાનું છડેચોક બોલે છે.