પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
સત્યાગ્રહીની વરાળ

જાણીજોઈને ઉત્તર ન આપ્યો હોય તો તે અવિનય ગણાય એમ કબૂલ કરું છું.

હવે ખાસ વણોદને વિષે. જે જે આરેાપો ભાઈ વીરચંદે મૂક્યા છે તે વિષે મને કશીયે માહિતી નથી. તેની ઉપર વણોદ દરબારને શું કહેવાનું છે તે હું જાણતો નથી. એ આરોપો ખરા હોય તો દુઃખની વાત છે. વણોદ દરબાર તરફથી આનો કંઈ પણ ઉત્તર મળશે તો હું છાપીશ. જો સંતોષકારક ઉત્તર હશે તો હું રાજી થઈશ. જો વણોદ દરબારથી કે તેમના નોકરોથી ભૂલ થઈ હોય તો તેનો સ્વીકાર દરબારને શોભાવશે. મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. એમાંથી રાજાઓ મુક્ત નથી થતા. બધી ફરિયાદ ખરી હોય તો ભાઈ વીરચંદે, તેમનાં માતાપિતાએ અને પ્રજાએ શું કરવું એ વિષે મારો અભિપ્રાય આપી ચૂક્યો છું. પ્રજા રિસાઈને હિજરત કરે તો રાજા નિરુપાય બને છે અને પ્રજા સાથે સમાધાની કર્યા વિના તેને ચાલતું નથી. હિજરત કરવાનો એક મનુષ્યને તેમ જ અનેકને એટલે પ્રજાને હંમેશાં અધિકાર છે અને ધીરજપૂર્વક,વિચારપૂર્વક, દૃઢતાપૂર્વક કરેલી હિજરત આજ લગી નિષ્ફળ નથી ગઈ.

નવજીવન, ૧૯–૭–૧૯૩૬