પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

માગેલી. એ કાગળના જવાબમાં તો મજકૂર ભાઈઓ જ આવ્યા ને મારો અસલ કાગળ લેતા આવ્યા. તે નીચે પ્રમાણે છે:

“તમારો કાગળ મળ્યો, ભંગીઓ બાબતનો રિપોર્ટ મારા હાથમાં નથી આવ્યો, પણ મળ્યે વાંચી જઈશ અને કંઈ લખવા જેવું હશે તે લખીશ.

કાઠિયાવાડનું જાહેર જીવન છિન્નભિન્ન દશામાં હોય તો એનો માત્ર એ જ અર્થ કે, લોકો તો હતા એવા જ છે પણ લોકસેવક અથવા લોકનાયક નકામા છે, અથવા સ્વાર્થી છે, અથવા ચારિત્રશૂન્ય છે, અથવા એ બધું એકસાથે છે. કોઈ ઠેકાણે એમ પણ જોવામાં આવ્યું છે કે, બધા પ્રકારના જીવનના પ્રવાહ તો વહી જતા હોય અને મૂર્ખ સેવકો કોઈ ન જાણતું હોય એવી રીતે પોતાનું કામ કર્યે પણ જતા હોય. આવા કોઈ કાઠિયાવાડમાં હશે કે ? આ બધું પ્રામાણિપણે અને સેવાભાવે શોધો, પણ સંઘ તરીકે કરો કે નોખા રહીને, શોભે એવી રીતે વર્તો”

મેં કહ્યું કે આ કાગળનો અર્થ જે નિંદારૂપે લે તેઓ ગુજરાતી જાણતા નથી એમ ગણાય. એનો અર્થ તો સ્પષ્ટ છે. જો શ્રી. દાણીએ લખેલું તે પ્રમાણે કાઠિયાવાડનું જાહેર જીવન ખરેખાત છિન્નભિન્ન થયું હોય તો સેવકોમાં ત્રણમાંથી એક અથવા ત્રણેય દોષો હોવા જોઈએ. આ ભાઈઓએ કબુલ કર્યું કે એ ઉપરાંત બીજો અર્થ મારા કાગળમાંથી નીકળે જ નહિ.

આ ઉપરથી તેઓએ એમ જાણવા માગ્યું કે શું કોઈએ મને કાઠિયાવાડીઓને ન શોભે એવું વર્તન કરનારનાં નામ મોકલ્યાં હતાં ? મેં જવાબ આપ્યો કે જેનું નામ મારી પાસે આવ્યું તે જેને વિષેના આક્ષેપો મેં સાચા માન્યા તેનું નામ મેં પ્રગટ કર્યું છે.