પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

જાળવી રહી છે અને પરિષદ ભરવાનો હક ભોગવવાને અંગે ગમે તેટલું વેઠવાના નિશ્ચયમાં મક્કમ છે.”

પાછળથી મળેલી ખબરો પરથી મેં જાણ્યું છે કે, દરબારસાહેબ તથા ભક્તિબાને ઉપલા તારમાં જણાવેલા લોકોએ ઘેરી લીધાં હતાં ને બન્નેને સાધારણ ઈજા થઈ હતી. આટલું કરીને ગુંડાઓએ પરિષદની બેઠક અટકાવ્યાનો ઘડી વાર સંતોષ મેળવ્યો.

આ તારના સંદેશાઓને ન માનવાનું મને કશું કારણ નથી. બીનાઓની જે ભરચક વિગતો તેમાં આપેલી છે તે ખાતરી ઉપજાવનારી છે. વળી જેમણે તે મોકલી છે તેમને હાથે જાણીજોઈને અતિશયોક્તિભરી કે બનાવટી વાત મોકલવાનો દોષ થવો હું અસંભવિંત માનું છું.

આ બધી અંધેરશાહી છતાં, જો સત્યાગ્રહીઓ ફના થઈ જવાની તૈયારીવાળા હશે અને પ્રજામતના સાચા પ્રતિનિધિ હશે, તો અંતે જીત એમની જ છે. બહારની પ્રજાનું તેમને પીઠબળ મળશે. ચક્રવર્તી સત્તા પણ, શ્રી. પ્યારેલાલે લી વૉરનરના ગ્રંથના ઉતારા પ્રગટ કરીને સચોટ રીતે પુરવાર કરી આપ્યું છે તેમ, તેમને મદદ આપવાને રાજ્યો જોડેના મૈત્રીના કોલકરારોની રૂએ બંધાયેલી છે. પણ સત્યાગ્રહીઓ જાણી લે કે સાચી મુક્તિનો ઉગમ અંતરમાં છે. એ અંતરાત્માની રક્ષા કરવી હશે અને જન્મસિદ્ધ હક એવી સ્વતંત્રતા મેળવવાનો તેમનો નિરધાર હશે તો તે સારુ તેમણે પોતાનું સર્વસ્વ હોમવું પડશે.

સેવાગ્રામ, ૨૭–૨–૩૯
હરિજનબંધુ, ૨૬–૨–૧૯૩૯