પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
વિષ્ટિને કાજે

અને મને તો જે છચોકનો વિશ્વાસઘાત લાગ્યો છે તે સુધારી લેવા ઠાકોર સાહેબને વીનવું, સિવાય કે એ આક્ષેપનો ઇનકાર વાજબી ઠરે.

વળી અત્યાચારો વિષે કાર્યકર્તાઓએ કરેલાં વિધાનો જો સાચાં હોય, તો મનુષ્યની હેવાનિયતનાં આવાં ભૂંડામાં ભૂંડાં પ્રદર્શનોને ટાળવાનો કોઈ માર્ગ ખોળી કાઢવો જોઈએ, અને બને તો તેને તેની પોતાની જાત સામે સહાયતા કરીને ઉગારી લેવો જોઈએ. આઝાદી માટેની લડત જો અહિંસા ઉપર ખડી થયેલી હોય તો ખુદ ગુંડાઓને પણ સુધારવા એ લડતનો એક ભાગ જ છે, પછી ભલે તેવા લોકો પ્રજાપક્ષમાં હોય કે અમલદારોમાં પડ્યા હોય. રાજકોટ જઈને સમાજમાં રહેલા આ ગુંડા-તત્ત્વ જોડે અહિંસાને માર્ગે કામ લેવાનો માર્ગ શોધી કાઢવાની પરાકાષ્ઠા કરી છૂટવાની પણ મારી ધારણા છે. આ દૃષ્ટિએ રાજકોટ એક પ્રયોગરૂપ છે ખરું.

હું રાજકોટ જઈ રહ્યો છું, કારણકે મેં હંમેશાં દાવો કર્યો છે તેવો જ દેશી રાજ્યોનો હજીયે હું મિત્ર છું. મને દુઃખ થાય છે કે સંજોગોને બળે, જેમાંના બધા જ કદાચ હું નયે જાણતો હોઉં, પોતાની પ્રજાને આપેલા વચનનો રાજકોટના નરેન્દ્ર પાસે ભંગ કરાવ્યો છે. હું તો માનું છું કે, તમામ હિંદના નહિ તો છેવટ કાઠિયાવાડના રાજાઓની અને તેમના સલાહકારોની તો ફરજ છે કે તેમણે જો આ અનિષ્ટ સાચું હોય તો તે સુધારવામાં મદદ કરવી. જો એકબીજાના વચન પર વિશ્વાસ એ એક વગરકિંમતની વસ્તુ બની જાય તો પરસ્પર વહેવારમાં માનભર્યું સમાધાન એ એક અશક્ય વસ્તુ બની જાય.