પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
દેશી રાજ્યોનો પ્રશ્ન


આજની પેઠે જ્યારે જ્યારે કોઈ વિશ્વાસભંગનો હું સાક્ષી બન્યો છું એમ મને લાગ્યું છે ત્યારે મારે માટે જીવવું વસમું થઈ પડ્યું છે. વાંચનાર યાદ આણે કે જે ખરડા ઉપર નજીવા સુધારા સાથે રાજકોટ ઠાકોર સાહેબે સહી કરી હતી એ ખરડો મારો ઘડેલો હતો, અને હું જાણું છું કે પૂરેપૂરું સમજીને જ રાજ્યકર્તા એ ઉપર સહી કરે એ વિષે સરદારે ખાતરી કરી હતી.

કેવળ શાંતિની નેમ રાખીને હું રાજકોટ જતો હોવાથી મેં સરદારને જણાવ્યું છે કે, પ્રભુનો દોરવ્યો મારી ચાલુ વેદનાનો અંત લાવવાને હું નમ્ર પ્રયાસો કરું તે દરમ્યાન તેઓ લડતને બંધ રાખે.

જનતા દયાભાવે યાદ રાખે કે હવે હું શરીરે અપંગ છું. તેથી સ્ટેશનો પર ટોળાં ન થાય, કોઈ દેખાવો કરે નહિ. રાજકોટમાં મોકૂફી દરમ્યાન શહેરીઓ રાજ્યના હુકમો પૂરા પાળે. વાટાઘાટ દરમ્યાન ઘોંઘાટમાંથી મને મુક્તિની જરૂર રહેશે. એ વાટાઘાટોમાં જેમને શ્રદ્ધા હોય તે સઘળા મૂંગી પ્રાર્થનાથી મને સહાયતા કરે.

જો હિંદના નકશામાં રાજકોટ એક ટપકું માત્ર છે છતાં જે સિદ્ધાંતની સંસ્થાપનાને માટે હું રાજકોટ જઈ રહ્યો છું તે એવો છે કે જેના વિના માનવસમાજ છિન્નભિન્ન થઈ જાય.”

હરિજનબંધુ, ૫–૩–૧૯૩૯