ઉત્પન્ન થઈ છે. પણ મારી દૃષ્ટિએ તો એ પણ રાજાપ્રજાના રક્ષણાર્થે છે ને ફરી સમાધાની ન ભાંગી પડે એ દૃષ્ટિએ છે.
છેવટમાં આપને વિશ્વાસ આપું કે જે રિપોર્ટ સમિતિ તૈયાર કરશે તે જો મારો દેહ હશે તો તપાસીશ; મારો દેહ નહિ હોય તો સરદાર વલ્લભભાઈ તપાસશે; અને તેમાં એક પણ કલમ એવી નહિ રહે કે જેથી આપની પ્રતિષ્ઠાને કે રાજ્યને કે પ્રજાને હાનિ પહોંચે.
આની નકલ હું ગિબસન સાહેબને મોકલું છું.
આ કાગળ હું તુરત પ્રગટ નથી કરતો, અને આશા તો એવી સેવું છું કે મારી સૂચનાનો આપ હર્ષપૂર્ણવ સ્વીકાર કરશો ને આ પત્ર પ્રગટ કરવાનો ધર્મ મારી ઉપર નહિ આવી પડે.
પ્રભુ આપનું કલ્યાણ કરો, આપને સન્મતિ આપો.
૨
ઠાકોર સાહેબનો જવાબ
પ્રિય મહાત્મા ગાંધી,
તમારો કાગળ ગઈ કાલે મળ્યો. વાંચીને ઘણી જ દિલગીરી થઈ છે. તમને હું ખાતરી આપી ચૂક્યો છું કે તા. ૨૬–૧૨–૩૮ ને રોજ મેં કાઢેલી જાહેરાત હજુયે કાયમ રહે છે. સમિતિનાં નામોને લગતી તમારી સૂચના એ જાહેરાતને અનુસરીને નથી તેથી તે, તેમ જ બીજી સૂચનાઓ જે તમે કરી છે તે, સ્વીકારવાનું મને વાજબી લાગતું નથી. સમિતિ યોગ્ય અને રાજ્યનાં જુદાં જુદાં હિતોના સાચા પ્રતિનિધિ હોય એવા