પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૭
‘પ્રેમપંથ પાવકની જ્વાળા’

અનશન

ઠાકોર સાહેબ તરફથી સંતોષકારક જવાબ ન મળવાથી ગાંધીજીએ તા. ૨જી માર્ચે બપોરે ૧૨ વાગ્યે અનશન શરૂ કર્યું. ઠાકોર સાહેબને લખેલો કાગળ છાપાંમાં પ્રગટ થવા મોકલતાં તેમણે નીચે મુજબનું નિવેદન કર્યું હતું :

ઠાકોર સાહેબને મેં લખેલો કાગળ હું ભારે હૈયે પ્રગટ કરું છું. મારા જીવનમાં ઘણી વાર વસમી ફરજો બુજાવવાના પ્રસંગો મને આવ્યા છે. આ તેમાંનો એક છે. મારા તમામ મિત્રો તથા મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓ પાસે હું માગી લઉં છું કે સૌ કોઈ મારું અનુસરણ કરીને એક દિવસને માટે પણ ઉપવાસ કરતાં કડકપણે રોકાય. હું જાણું છું કે સત્યાગ્રહની પેઠે જ ઉપવાસનો પણ આજે જ્યાં ત્યાં અતિશય દુરુપયોગ થઈ રહ્યો છે. નજીવામાં નજીવા બહાના હેઠળ લોકો ઉપવાસ આદરતા જોવામાં આવે છે; ઘણી વાર તેની પાછળ હિંસાની લાગણી હોય છે.

બીજે કારણે નહિ તો આવું વિચારહીન અનુકરણ અટકાવવાના વહેવારું કારણોસર પણ્ અનશન કરવા હું ઘણો નાખુશ હતો. પણ અંતરાત્માની માગણી આગળ મારું ચાલ્યું નહિ.