પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોઈતો હતો. મારા માર્ગ આડે અણધારી મુશ્કેલીઓ ન આવી હોત તો મારી આંખો ન ઊઘડત.

મળેલ ચુકાદાથી સંતોષ માની દરબારશ્રી વીરાવાળા તેને માથે ચડાવે તેમ હતું નહિ; મારો માર્ગ સરળ કરી આપવાની સ્વાભાવિકપણે જ એમની તૈયારી નહોતી, એમણે દરેક તકનો લાભ ઉઠાવી લાંબી કસે ધવડાવવાની નીતિ આદરી. ચુકાદાથી મારો માર્ગ સરળ થવાને બદલે ઊલટું એ ચુકાદો જ મુસલમાનો તથા ભાયાતોના મારી સામેના રોષનું ભારે કારણ થઈ પડ્યો. અગાઉ અમે મિત્રભાવે મળીને વાટાઘાટ કરી હતી; હવે મેં સ્વેચ્છાએ અને કશી શરત કર્યા વિના આપેલા વચનનો ભંગ કર્યાનો મારા પર આરોપ કરવામાં આવે છે. મેં વચનભંગ કર્યો છે કે કેમ એ બાબત પણ વડા ન્યાયાધીશ પાસે નિર્ણયને સારુ રજૂ કરવાનું ઠર્યુ. મુસ્લિમ કાઉન્સિલ અને ગરાસિયા ઍસોસિયેશનનાં નિવેદનો મારી સામે પડ્યાં છે. ચુકાદાના લાભને છોડી દેવાનો નિર્ણય કર્યા બાદ એ બે નિવેદનોનો હવે મારે જવાબ આપવાપણું નથી રહેતું. મને નિસબત છે ત્યાં સુધી તો ઠાકોર સાહેબ મુસ્લિમો તથા ભાયાતોને જે કંઈ આપવા ઇચ્છે તે તેઓ સુખેથી લે. તેમના કેસ તૈયાર કરવાની તકલીકમાં મેં તેમને ઉતાર્યા તે બદલ હું તેમની માફી માગું છું. નામદાર વાઈસરૉયની પણ મારી નબળાઈને કારણે મેં તેમને નાહક તકલીફમાં નાંખ્યા તે બદલ મારે માફી માગવી રહી છે. વડા ન્યાયાધીશની પણ હું માફી માગું છું કે જે બધો પરિશ્રમ એમને મારે કારણે કરવો પડ્યો તે, મારામાં વધુ સમજણ હોત તો, કરવો પડત નહિ. સૌ ઉપરાંત હું ઠાકોર સાહેબની અને દરબારશ્રી વીરાવાળાની માફી માગું છું.