પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭૨
નવો પ્રકાશ

[વૃંદાવનથી તા. ૧૨ મીએ રાજકોટ પાછા ફરતાં જ ગાંધીજીએ રાજકોટનું કામકાજ કલલત્તે જતાં જ્યાં પડ્યું હતું ત્યાંથી જ વળી પાછું હાથમાં લીધું. તેમને ખબર પડી હતી કે ‘હું હાર્યો’ વાળું તેમનું ૨૩મી એપ્રિલનું નિવેદન પરિષદના કેટલાક કાર્યકર્તાઓના રોષનું કારણ બન્યું હતું. તેમને દરબાર વીરાવાળા જ રાજકોટનાં બધાં અનિષ્ટોનું મૂળ લાગતા હોવાથી તેમની જોડે સમાધાનીની વાટાઘાટ કરવાની સલાહે તેમને બેચેન કરી મૂક્યા હતા. થોડાકે એક નિવેદન પણ કાઢ્યું હતું જેમાં ‘શત્રુનો હૃદયપલટો’ કરવાની ફિલસૂફી પ્રત્યે તેમણે પોતાની અશ્રદ્ધા જાહેર કરી હતી. બીજા કેટલાકને લાગતું હતું કે ૨૬ મી ડિસેંબરની જાહેરાતના અમલ માટે આગ્રહ રાખવો જોઈએ. ગાંધીજીએ તા. ૧૨મીએ રાજકોટ પાછા આવતાંવેત બે કલાકમાં પરિષદના કાર્યકર્તાઓને ભેળા કરી તેમની આગળ પોતાના વલણ વિષેની સ્પષ્ટતા કરી. શંકાસમાધાન પણ કર્યું. ટૂંકાવવા ખાતર સવાલો પડતા મૂકી વાતચીતનો સાર અહીં આપું છું. પ્યારેલાલ]

૨૩ મી એપ્રિલના મારા નિવેદનથી તમારામાંના કેટલાક ભાઈઓ અસ્વસ્થ થયા છે એમ સાંભળ્યું. આનું કારણ હું સમજી શક્યો નથી. મેં તેમાં કશું નવું કહ્યું નથી. રાજકોટ છોડતી વેળાએ મેં જે વાત વિગતથી તમને કરી હતી તેનો જ સાર મેં તેમાં આપ્યો છે.