પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
નવો પ્રકાશ


વજુભાઈ અને તેમના સાથીઓના નિવેદન વિષે એટલું કહું કે મને તે ગમ્યું છે. કારણ એમના મંડળની અને મારી વચ્ચેના પાયાના મતભેદ એથી સ્પષ્ટ થાય છે. કાર્યવાહક સભા સત્યાગ્રહની લડત ચલાવવાના હેતુ પૂરતી પરિષદે બનાવી હતી. હવે એ હેતુ બિનમુદ્દત મુલતવી રહ્યાથી એનું કામ ખલાસ થયું છે. એને નામે સમાધાનની વાટાઘાટ કરવા સામેનો વાંધો હું સાવ સમજી શકું છું. પણ હું તેને નામે વાટાઘાટ નથી કરી રહ્યો. મારી સ્થિતિ કહી દઉં. ચુકાદો જાહેર થયો ત્યારે તે ઘડીના ઉત્સાહમાં મારાથી કહી જવાયું કે રાજકોટનો ઉપવાસ ધાર્યા કરતાં વધુ સફળ નીવડ્યો. હવે જોઉં છું કે તે મારા ગળા ફરતો ગાળિયો નીવડ્યો છે.

હું અહીં તમારો બોલાવ્યો નથી આવ્યો. હું આવ્યો, કારણ રાજકોટ મારા બચપણનું વતન છે. ઉપરાંત મને લાગ્યું કે હું તેના રાજ્યકર્તા પાસે તેમણે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવી શકીશ. આવ્યા પછી જે જે કંઈ મેં કર્યું તેમાં કેવળ મારા અંતરના પ્રકાશથી અને સંજોગોનો દોરવ્યો હું દોરવાયો છું. મારા આ અખતરામાં જોડાવાની કોઈના ઉપર ફરજ નથી. જેને જુદું સૂઝે તેને પોતાને રસ્તે જવાની સંપૂર્ણ છૂટ છે. અને રાજકોટની પ્રજા જુદી પદ્ધતિએ લડવાનો નિર્ણય કરે તે મને વાંધો નથી. કોઈ કામ કરવાનો મને સૂઝે તે કરતાં જુદો અને ચડિયાતો રસ્તો હોઈ શકે એટલું જાણવાની નમ્રતા મારામાં છે; અને લોકો કાયર થાય, નામર્દ બની જાય એ તો કોઈ વાતે મને પરવડે એમ નથી.

પરિષદની બેઠક બોલાવવી અને ભવિષ્યને માટે કરવાના કામ વિષે તેની આજ્ઞા મેળવવી એ સૂચના પણ હું આવકારું