પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
દેશી રાજ્યોનો પ્રશ્ન


જે વાણોતર છે તેણે દરેક પગલે શેઠને પૂછીને અને તેની સૂચના લઈને ચાલવાનું હોય છે. પણ વૈદ પોતાના દર્દીને અંગે તેમ કરી શકે નહિ. તેણે તે વખતોવખત તેને જે કાંઈ આત્મપ્રેરણાથી સૂઝે તેનાથી દોરાવું રહ્યું. અને ઘડીએ ઘડીએ રોગનાં ચિહ્નો જે પ્રમાણે વધતાં ઘટતાં તેને જણાય તે પ્રમાણે તેણે તેની ઉપાયયોજના બદલવી રહી. દર્દીનું કહેવું માનવું તેનાથી ન બની શકે. તમારી સાથે મારે બેવડો સબંધ રહ્યો છે. હું તમારો પ્રતિનિધિ છું, વૈદ પણ છું. તમારા વૈદમાં તમને વિશ્વાસ હોય ત્યાં સુધી તેની સારવાર સંપૂર્ણ આસ્થાપૂર્વક સ્વીકારવી રહી છે. જો તેના પર વિશ્વાસ ન રહ્યો હોય તો બીજો વિશ્વાસ ધરાવે એવો વૈદ નીમવો જોઈએ.

ગર્ભિણીનું દુઃખ ગર્ભિણી જ જાણે. બીજાં તેની સ્થિતિ જુએ, તેની દયા પણ મનમાં આણે, પણ પ્રસૂતિની પીડા તો પેલી એકલી જ જાણે અને વેઠે. સત્યાગ્રહની ગર્ભધારણા મારી છે. તેથી પ્રસૂતિની પીડા પણ મારે જ એકલાએ વેઠવી રહી છે. હું વિનોદ નથી કરી રહ્યો. પેટછૂટી વાત કરું છું. આ માર્ગમાં હું એકલો જ બાકી રહીશ તોપણ એ પાવકની જ્વાળાઓમાં ઝંપલાવીશ અને મારે પંથ ખેડીશ. દરબાર વીરાવાળાનો હૃદયપલટો કરવાને સારુ સત્યાગ્રહનું એકેએક સાધન અજમાવવાનો અને ખતમ કરવાનો મારો નિશ્ચય છે. જો હું સફળ થઈશ તો તેના ફળના તમે ભાગીદાર હશો. જો નિષ્ફળ જઈશ તો તેની જવાબદારી મારા એકલાની હશે, તમને આંચ નહિ આવે.

મારા બચપણમાં રાજકોટમાં બે આંધળા ગવૈયા હતા. તેમાંનો એક જણ જ્યારે વગાડતો ત્યારે વાજિંત્ર પર તેની